27 July, 2021 05:09 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
કૃણાલ પંડયા
હાલ ભારતીય ક્રિકેટ ટીમ T-20 મેચ રમવા માટે તૈયારી કરી રહ્યું છે. મેચ રમવા માટે શ્રીલંકા પહોંચેલી ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર કૃણાલ પંડયા કોરોનાથી સંક્રમિત થયા છે. આવી સ્થિતિમાં ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી T-20 મેચ સ્થગિત કરવામાં આવી છે. જો કે, તે ટીમના બાકીના સભ્યોના કોવિડ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા, જે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી અનુસાર કૃણાલ કોવિડ પોઝિટિવ આવ્યા બાદ ભારત અને શ્રીલંકાની ટીમો ઓઈસોલેશનમાં છે. આવી સ્થિતિમાં શ્રેણીની બીજી મેચ અંગેનો નિર્ણય બંને ટીમોના બાકી સભ્યોના રિપોર્ટના આધારે લેવામાં આવશે.
આ સિવાય ઓપનર બેટ્સમેન પૃથ્વી શો અને સૂર્યકુમારે પણ ઇંગ્લેન્ડ જવા અંગે શંકા વ્યક્ત કરી છે. ઇંગ્લેન્ડ પ્રવાસ માટે પૃથ્વી અને સૂર્યની પસંદગી શુબમન ગિલ અને વોશિંગ્ટન સુંદરની જગ્યાએ ભારતીય ટેસ્ટ ટીમમાં કરવામાં આવી છે.
તે જ સમયે આ બંને ખેલાડીઓ કોરોના વાયરસથી સંક્રમિત કૃણાલ પંડ્યાના સંપર્કમાં આવ્યા હતા. પૃથ્વી અને સૂર્ય ઉપરાંત અન્ય 6 ખેલાડીઓ પણ કૃણાલના સંપર્કમાં આવ્યાં હતા. ભારતીય ટીમ ત્રણ મેચની શ્રેણી બાદ શ્રીલંકા પ્રવાસ પર ત્રણ મેચની ટી- 20 શ્રેણી રમી રહી છે.
ઉલ્લેખનીય છે અગાઉ ઋષભ પંત પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. જોકે બાદમાં તેમણે કોરોનાને મ્હાત આપી હતી અને ખુબ જ ઓછા સમયમાં ફરીથી ભારતીય ટીમમાં જોડાયા હતાં.