27 March, 2024 10:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગૌતમ સિંઘાનિયા , વિજયપત સિંઘાનિયા
થોડા દિવસ પહેલાં રેમન્ડ ગ્રુપના ચૅરમૅન ગૌતમ સિંઘાનિયાએ પોતાના પપ્પા વિજયપત સિંઘાનિયા સાથેનો ફોટો ઍક્સ પર મૂકીને લખ્યું હતું, ‘પપ્પાને ઘરે લાવીને ખુશી થઈ. તેમના આશીર્વાદ અમારા પર રહે. પપ્પાની હેલ્થ હંમેશાં સારી રહે એવી શુભેચ્છા.’ આવી પોસ્ટ વાઇરલ થયા બાદ લોકોમાં એવી ચર્ચા ઊપડી હતી કે હવે સિંઘાનિયા પિતા-પુત્ર વચ્ચેના સંબંધ સારા થઈ ગયા લાગે છે. જોકે આ વાતને રદિયો આપતાં એક મૅગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં વિજયપત સિંઘાનિયા ‘આ બધો દેખાડો હતો’ એવું જણાવતાં કહે છે, ‘મને ખબર નથી તેણે (ગૌતમે) મને બોલાવ્યો એની પાછળનો તેનો અસલી આશય શું હતો. હા, એટલું ચોક્કસ કે તે સાથે કૉફી પીવાનો કે અમારા વચ્ચેના મતભેદો સુલઝાવવાનો આશય તો નહોતો જ. હકીકત એ છે કે છેલ્લાં ૧૦ વર્ષમાં આ પહેલી વાર હું જેકે હાઉસમાં પ્રવેશ્યો અને મને નથી લાગતું કે મારે ફરી ત્યાં જવાનું થશે.’
તો પછી વાઇરલ થયેલા ફોટો પાછળની સચ્ચાઈ શું? એ વિશે વિજયપત સિંઘાનિયા કહે છે, ‘વીસમી માર્ચે જ્યારે હું હૉસ્પિટલથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે ગૌતમના અસિસ્ટન્ટનો મને ફોન આવ્યો હતો. તેણે મને ખૂબ કહ્યું કે તેઓ જેકે હાઉસ પર પાંચ મિનિટ માટે આવે. મેં ના પાડી તો ગૌતમ લાઇન પર આવ્યો અને કહ્યું કે જસ્ટ એક કપ કૉફી પીને જતા રહેજો. ખૂબ ખચકાટ હોવા છતાં હું ત્યાં ગયો. મને ખબર નહોતી કે તેનો ઇરાદો મારો ફોટો લઈને મીડિયામાં કંઈક અલગ સંદેશો આપવાનો છે. મારી અને ગૌતમ વચ્ચે બધું બરાબર છે એવો દાવો સાવ ખોટો છે.’