02 April, 2026 03:19 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
૧૬ ઍમ્બ્યુલન્સમાં નીકળેલી અંતિમયાત્રા
ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં એક વ્યક્તિની ઇચ્છા પૂરી કરવા માટે ૧૬ ઍમ્બ્યુલન્સમાં તેની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. ઉન્નાવમાં રહેતા ૫૦ વર્ષના કમલેશ નામના ભાઈને લિવરની ગંભીર બીમારી હતી. તેને ખબર હતી કે તે બચી શકે એમ નથી એટલે પોતાના ભાઈને કહેતો હતો કે ‘ભાઈ, જ્યારે હું મરી જાઉં ત્યારે ઍમ્બ્યુલન્સના કાફલામાં મારી અંતિમયાત્રા કાઢજે.’
આવું કહેવાનું કારણ એ હતું કે તેનો ભાઈ ઍમ્બ્યુલન્સ ચલાવવાનું કામ કરતો હતો. શનિવારે કમલેશનું મૃત્યુ થયું ત્યારે તેના ભાઈએ તેની અંતિમ ઇચ્છા પૂરી કરવાનું વચન નિભાવ્યું હતું. તેણે પોતાના દોસ્તોની ઍમ્બ્યુલન્સની લાઇન લગાવી દીધી. રવિવારે જ્યારે તેની અંતિમયાત્રા નીકળી ત્યારે એક પછી એક ૧૬ ઍમ્બ્યુલન્સ સાયરન વગાડતી નીકળી હતી. તમામ ઍમ્બ્યુલન્સચાલકોએ કોઈ ચાર્જ લીધા વિના પોતાના દોસ્તના પરિવારજનની ઇચ્છા પૂરી કરી હતી.