12 January, 2022 03:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાયરલ પેપર
UPSC 2021 મુખ્ય પરીક્ષાઓ માટેનું પ્રથમ પેપર 7 જાન્યુઆરીએ લેવામાં આવ્યું હતું, જેણે સોશિયલ મીડિયા પર ખૂબ જ હલચલ મચાવી હતી. કારણ કે જ્યારે કેટલાક IAS અને IPS અધિકારીઓએ તે પ્રશ્નપત્રની તસવીરો શેર કરી ત્યારે મામલો ચર્ચાનો વિષય બની ગયો હતો! વાસ્તવમાં, કેટલાક UPSC ઉમેદવારો પ્રશ્નપત્ર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ તેમાં નિબંધના વિષયો સાવ વિચિત્ર હતા. ઇન્ટરનેટ પર વાઇરલ થયેલા આ પેપરને યૂઝર્સે ‘ફિલોસોફિકલ’ ગણાવ્યું.
વિભાગ A અને B મળીને કૂલ છ વિષયો હતા જેમાંથી કોઇ પણ બે પર નિબંધ લખવાના હતા. આ નિબંધના વિષયો જરા વધુ પડતા જ ઑફબીટ હતા. જ્યારે પ્રશ્નપત્રના વિભાગ `A` માં - ઈચ્છાહીન અસ્તિત્વની ફિલસૂફી એ કાલ્પનિક આદર્શ (યુટોપિયા) છે, જ્યારે ભૌતિકતા માયા છેના વિષય પર નિબંધ લેખન હતું તો બી વિભાગના નિબંધમાં પૂછ્યું હતું કે જે કર ઝૂલાવે પારણું તે જગત પર શાસન કરે. બીજા વિષયો હતા કે શોધ શું છે, જ્ઞાન સાથે એક અજનબી મુલાકાત વગેરે...
કોઇએ એવો જોક કર્યો કે પેપર સેટ કરનારનું બ્રેક અપ થયું હશે એટલે આવા નિબંધ મૂક્યા છે...
પેપરના વૈચારિક વિષયો પર લોકોએ ભારે ઠેકડી ઉડાડી હતી.
કોઇએ કહ્યું કે આ પેપર જોઇને અહમ બ્રહ્માસ્મી જેવી લાગણી થઇ રહી છે.
એક IFS એ તેના ટ્વીટમાં લખ્યું, `UPSC ના ઉમેદવારો વિશે એક સામાન્ય કહેવત છે કે થોડા પ્રયત્નો પછી, તે ફિલોસોફર બની જાય છે! એવું લાગે છે કે નિબંધનું પેપર કેટલાક અનુભવી UPSC લોકોએ સેટ કર્યું હતું.`
આ પ્રશ્નપત્ર શેર કરતાં IAS એ લખ્યું – આજનું UPSC મેન્સ નિબંધ પેપર. ઉમેદવારો માટે શેર કરવું જેથી કરીને તેઓ ઘરે જાતે જ પ્રેક્ટિસ કરી શકે. આમાંથી તમે કયો વિષય પસંદ કરશો અને શા માટે? નિબંધ પસંદ કરવા પાછળનું કારણ પસંદ કરવાની પણ મજા પડશે અને હા, તેણે તેની આગામી ટ્વીટમાં કહ્યું કે તે વિષય 2 અને 6 પર લખવા માંગશે.