૫૦૦ વર્ષ જૂના શ્રાપથી બચવા માટે બે કિશોરોને હોળી પહેલાંની મધરાતે પરણાવી દેવામાં આવ્યા

04 March, 2026 02:24 PM IST  |  Rajasthan | Gujarati Mid-day Correspondent

ગ્રામીણોનું માનવું છે કે જો આ લગ્ન ન કરાવવામાં આવે તો ગામ પર ખેર જાતિ પર લાગેલો ૫૦૦ વર્ષ જૂનો શ્રાપ સાચો પડશે

બે માસૂમ બાળકોના વિવાહ

રાજસ્થાનના બાંસવાડામાં ૫૦૦ વર્ષ જૂની એક ખોફનાક પરંપરા આજે પણ ચાલે છે જ્યાં અડધી રાતે બે માસૂમ બાળકોના વિવાહ કરાવાયા હતા. ગ્રામીણોનું માનવું છે કે જો આ લગ્ન ન કરાવવામાં આવે તો ગામ પર ખેર જાતિ પર લાગેલો ૫૦૦ વર્ષ જૂનો શ્રાપ સાચો પડશે. એ શ્રાપ અંતર્ગત દસકા પહેલાં સેંકડો પશુઓના જીવ ગયા હતા. બડોદિયા નામના ગામમાં હોળીની પૂર્વસંધ્યાએ જો આ પરંપરા ન નિભાવવામાં આવે તો એ શ્રાપ સાચો પડી જવાનો ભય આજેય લોકોમાં છે. આ વખતે પણ ગામના મુખિયા નાથજી પટેલે ચુન્નુ અને મુન્નુ નામના બે કિશોરોનાં લગ્ન કરાવ્યાં હતાં. તેમને અડધી રાતે એક વાગ્યે ઊંઘમાંથી ઉઠાડીને જ્યારે લગ્નની વેદી પાસે લાવવામાં આવ્યા ત્યારે ચુન્નુ અને મુન્નુ બન્નેએ દુલ્હો બનવાની જીદ કરી હતી. જોકે પંચો અને લગ્ન કરાવનાર સ્વામી મહારાજે વચ્ચે પડીને ચુન્નુને દુલ્હો બનાવ્યો અને મુન્નુને દુલ્હન બનાવવામાં આવ્યો. વૈદિક મંત્રોચ્ચાર સાથે સિંદૂરદાન અને મંગળસૂત્ર પહેરાવવાની રસમ પણ થઈ હતી. આ લગ્નની રસમો ભલે સાચી હોય, પરંતુ એ લગ્નને સાચાં માનવામાં આવતાં નથી. આ વખતે સમાજસુધાર માટે લોકોએ લગ્નની વેદીની આગમાં ગુટકા, બીડી, સિગારેટ અને તમાકુનાં ઉત્પાદનોને પણ હવનકુંડમાં નાખીને એનાથી મુક્ત થવાની મનોકામના કરી હતી.

ગામના મુખિયાનું કહેવું છે કે ૯૦ વર્ષ પહેલાં વરસાદને કારણે આ પરંપરા નહોતી નિભાવવામાં આવી. એ વર્ષે ગામમાં દુષ્કાળ પડ્યો હતો અને ૨૦૦થી વધુ દૂધાળાં પશુઓનું અચાનક મૃત્યુ થઈ ગયું હતું. બસ એ પછી ગ્રામવાસીઓએ કદી આ પરંપરામાં ચૂક ન થાય એનું ધ્યાન રાખવાનું શરૂ કર્યું છે. 

offbeat news rajasthan india national news culture news