27 August, 2019 09:37 AM IST | છત્તીસગઢ
130 વર્ષના મગરની યાદમાં આ ગામમાં બનશે મંદિર
આ વર્ષે જાન્યુઆરી મહિનામાં છત્તીસગઢના બાવા મોહતરા ગામમાં એક મગર મૃત્યુ પામ્યો હતો. એની ઉંમર ૧૩૦ વર્ષની હોવાનું કહેવાતું હતું. ગંગારામ તરીકે જાણીતા આ મગરને ત્યાંના ગામના લોકો સાથે બહુ સારું હતું. જે તળાવમાં આ ગંગારામ રહેતો હતો એ ગામના લોકોને તેણે ક્યારેય હેરાન કર્યા નહોતા. જોકે જ્યારે એનું મૃત્યુ થયું ત્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ મગરનું મૃત શરીર લઈ જવા માગતા હતા, પણ ગામલોકો ટસના મસ ન થયા અને તેમણે વિધિવત રીતે એના અંતિમસંસ્કાર કર્યા હતા. જોકે વાત હજી ત્યાં અટકી નથી.
હવે ગામવાળા લોકો ગંગારામ મગરનું મંદિર બંધાવવા માગે છે. જે તળાવમાં મગર રહેતો હતો એની બાજુમાં જ આ મંદિર બાંધવાનું નક્કી થયું છે અને એ માટે ગામલોકોએ ફાળો પણ ઉઘરાવી લીધો છે. હ્યુમન ફ્રેન્ડલી મગરની યાદમાં મંદિર બનાવવા માગતા ગામલોકોનું કહેવું હતું કે ‘આ મંદિર દ્વારા અમે મગર માટેનો અમારો આદર જતાવવા માગીએ છીએ. તે એક પવિત્ર આત્મા હતો અને એટલે તેનું મંદિર બની રહ્યું છે.
આ પણ વાંચો : ડાન્સ કરતાં-કરતાં ભણાવતા ઓરિસ્સાના ટીચર થયા ફેમસ
મંદિરમાં નર્મદા દેવીની સાથે મગરનું સ્ટૅચ્યુ પણ હશે. મંદિર બની ગયા પછી ગામમાં ભવ્ય ભોજન સમારોહનું પણ આયોજન છે.’