02 March, 2021 08:23 AM IST | Bhubaneswar
આયુષકુમાર ખુંતિયા
કોરોના વાઇરસને પગલે લાગુ કરાયેલા લૉકડાઉનનો સમય દરેકે પોતપોતાની આગવી રીતે વિતાવ્યો હતો. જોકે જેમને લાંબો સમય ઘરમાં રહેવાની આદત ન હોય એવા લોકો માટે આ સમય સૌથી કપરો રહ્યો હતો. ઘણા લોકોએ નવો બિઝનેસ શરૂ કર્યો, તો વળી ઘણાએ પોતાના જૂના શોખ જીવંત કર્યા હતા.
લૉકડાઉન દરમ્યાન ઑનલાઇન ક્લાસિસમાં હાજરી આપવા સાથે ભુવનેશ્વરના ૧૦ વર્ષના આયુષકુમાર ખુંતિયાએ તેની માતૃભાષામાં ૧૦૪ પાનાંનું મહાકાવ્ય રામાયણ લખ્યું જેને ‘પિલાકા રામાયણ’ (બાળકો માટે રામાયણ) નામ આપ્યું.
વાસ્તવમાં માર્ચ મહિલામાં ટીવી પર રામાયણ સિરિયલ શરૂ થઈ ત્યારે તેના કાકાએ તેને એ જોવા અને એના પર કાંઈ લખવાનું કહ્યું. આયુષે ટીવી પર બધા એપિસોડ જોયા અને ઓડિયા ભાષામાં એના વિશે લખ્યું; જેમાં ભગવાન રામના ૧૪ વર્ષના વનવાસ, પંચવટીના જંગલમાંથી સીતાનું રાવણ દ્વારા અપહરણ અને ૧૪ વર્ષના વનવાસ પછી અયોધ્યાવાસીઓ દ્વારા રામના સ્વાગત વિશે લખ્યું છે.