17 May, 2020 09:57 AM IST | Myanmar | Gujarati Mid-day Correspondent
બ્રિટનની 35 વર્ષની શિક્ષિકા નતાલી પુલ
બ્રિટનની ૩૫ વર્ષની શિક્ષિકા નતાલી પુલ કોરોના રોગચાળાને કારણે જાહેર કરવામાં આવેલા લૉકડાઉનને કારણે મ્યાનમાર (બર્મા)ના સાપની ઘણી વસ્તી ધરાવતા ટાપુ પર બે મહિનાથી અટવાઈ ગઈ છે. નતાલી અને અન્ય ચાર જણની મુખ્ય શહેરમાં પાછા લઈ જવાની બોટ પાંચમી મેએ ત્યાં આવવાની હતી, પરંતુ એ બોટ આવી જ નહીં એથી એ લોકો માટે ત્યાં રહીને જંગલનાં ફળ કે સ્થાનિક લોકો પાસેથી જે મળે એ ખાઈને જીવવા સિવાય વિકલ્પ નથી. એ પાંચ જણ ક્વેસ્ટ ફાઉન્ડેશન નામના સંગઠનના નેજા હેઠળ એ ટાપુ પરના પરવાળાના ખડકોને બચાવવાના અભિયાનના ભાગરૂપે ૧૯ માર્ચે એ ટાપુ પર પહોંચ્યા હતા. એ લોકો એકાદ મહિનો ત્યાં રહીને પાછા તેમના ઘરે જવાના હતા, પરંતુ પછીથી કોરોના રોગચાળાના લૉકડાઉનને કારણે પાછા જવાના વાહનનો કોઈ મેળ પડતો નથી.
નતાલી પુલે એક ન્યુઝ-વેબસાઇટને જણાવ્યું કે ‘અમે કેદ, ગૂંગળામણ અને મૂંઝવણની સ્થિતિ અનુભવીએ છીએ. અમે અમારા પરિવારની ચિંતા કરીએ છીએ. ટેન્શન પણ થાય છે. ફણસ અને સુરણ અમારા મુખ્ય ખોરાક છે. આ વિસ્તારના એક રિસૉર્ટમાંથી પણ ક્યારેક જમવાનું મળે છે.’