24 June, 2020 07:14 AM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રાજ્સ્થાનના કોટાની મહારાજા ભીમસિંહ હૉસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટમાં કોરોના-ઇન્ફેક્શનના દર્દી તરીકે દાખલ કરવામાં આવેલા એક આધેડ વયના પુરુષે તેમના સ્વજનોની બેદરકારીને કારણે જીવ ગુમાવ્યો હતો. આ બનાવની તપાસ માટે હૉસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ નવીન સક્સેનાએ ત્રણ સભ્યોની સમિતિ નિયુક્ત કરી છે. સુપરિન્ટેન્ડન્ટ નવીન સક્સેનાએ દોષી સામે પગલાં લેવાની બાંયધરી આપી છે.
૧૩ જૂને દાખલ કરવામાં આવેલા દર્દીને ૧૫ જૂને ICUમાં ખસેડવામાં આવ્યા હતા. ICUમાં એ દર્દી વેન્ટિલેટર પર હતા. હૉસ્પિટલમાં ગરમી થતી હોવાથી પરિવારના એક સભ્ય ઍરકૂલર લઈ આવ્યા. એ ઍરકૂલર ચાલુ કરવા માટે પ્લગ લગાવવા કોઈ સૉકેટ ન મળતાં એ લોકોએ વેન્ટિલેટરનું પ્લગ કાઢીને એની જગ્યાએ કૂલરનું પ્લગ લગાડ્યું હતું. થોડી મિનિટમાં વેન્ટિલેટરનો પાવર બંધ થઈ જતાં દર્દીને ઑક્સિજન મળતો બંધ થયો હતો. ત્રણ સભ્યોની સમિતિમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ, નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ અને ચીફ મેડિકલ ઑફિસરનો સમાવેશ છે. વેન્ટિલેટરમાં મુશ્કેલીની જાણ કર્યાની ૪૦ મિનિટ પછી હૉસ્પિટલના સ્ટાફર્સ આવ્યા હોવાની ફરિયાદ પણ કરવામાં આવી હતી.