11 February, 2020 07:44 AM IST | Bangalore
કરુણાશ્રય
ફાંસીની સજા પામેલા કેદીની આખરી ઇચ્છા પૂછવામાં આવે છે અને સંભવત: પૂરી પણ કરવામાં આવે છે, પરંતુ જીવનના અંતિમ દિવસો ગણી રહેલા જીવલેણ રોગના રોગીઓને હૉસ્પિટલમાંથી પણ હાથ જોડીને રજા આપી દેવાય છે. દવા-દારૂ પાછળ ખુવાર થઈ ગયેલા પરિવારજનો પણ તેમને રિબાતા જોવા સિવાય કાંઈ કરી શકતા નથી, પણ બૅન્ગલોરમાં કરુણાશ્રય ટ્રસ્ટ હૉસ્પિટલ દરેક સ્થળેથી નિરાશ પાછા ફરનારા કૅન્સરના પેશન્ટની સેવા કરી રહી છે.
છેલ્લાં પચીસ વર્ષથી કૅન્સરના પેશન્ટ જીવનના અંતિમ દિવસો શાંતિથી વિતાવવા આ હૉસ્પિટલમાં આવે છે. અહીં આવનારા પેશન્ટની દરેક ચિંતા દૂર કરવાની કોશિશ કરવામાં આવે છે. આ હૉસ્પિટલમાં બિલિંગ-કાઉન્ટર છે જ નહીં, તમામ સુવિધા મફત પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં કોઈ પણ પેશન્ટને જગ્યા ન હોવાથી પાછો ન કાઢતાં એને માટે અલગ બેડની વ્યવસ્થા કરવામાં આવે છે.
આ હૉસ્પિટલની એક શરત છે કે અહીં આવનાર પેશન્ટની ફાઇલમાં હવે કોઈ ઇલાજ સંભવ નથી એવો રિમાર્ક હોવો જોઈએ. પાંચ એકર જમીન પર બનેલી આ હૉસ્પિટલમાં ૭૩ ખાટલા છે. હૉસ્પિટલનો વાર્ષિક ખર્ચ સાડાછ કરોડ રૂપિયા અને રોજનો એક પેશન્ટ પરનો ખર્ચ અંદાજે ૨૪૨૪ રૂપિયા છે.
આ પણ વાંચો : 1.3 ટન વિસ્ફોટકોથી આકાશમાં દોઢ કિલોમીટર ઊંચે રચાઈ વિશ્વની સૌથી મોટી આતશબાજી
ઇન્ડિયન કૅન્સર સોસાયટી અને રોટરી બૅન્ગલોર ઇન્દરા નગરના પ્રોજેક્ટનો આ હૉસ્પિટલ એક હિસ્સો છે. અહીં દર મહિને લગભગ ૬૦-૭૦ પેશન્ટ જીવનનો અંતિમ શ્વાસ લે છે. કરુણાશ્રયમાં જીવનના અંતિમ દિવસોમાં પેશન્ટની દરેક ઇચ્છા પૂરી કરવામાં આવે છે, પછી તે પ્લેનમાં ઊડવાની હોય કે અભિનેતા આમિર ખાનને મળવાની હોય. આ હૉસ્પિટલમાં ૧૪૦ લોકોનો સ્ટાફ છે જેમાં ૬ ડૉક્ટર, ૮૦ નર્સ, ૬ કાઉન્સેલર્સ અને એક ફિઝિયોથેરપિસ્ટ છે.