19 October, 2020 07:54 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent
એજી કે. ઉમા મહેશ
પોતાના મૃત્યુ બાદ લોકો શું કહેશે અથવા પોતાના મૃત્યુના સમાચાર કઈ રીતે લોકોને મળશે એ વિશે કદી કોઈએ વિચાર્યું નહીં હોય. જોકે ચેન્નઈમાં એક દાદાએ પોતાના મૃત્યુ પહેલાં પોતાની મરણનોંધ લખીને પોતાના પરિવારજનોને આપી રાખી હતી. ગયા શુક્રવારે ચેન્નાઈમાં એજી કે. ઉમા મહેશ નામના ૭૨ વર્ષના દાદાજી અવસાન પામ્યા. એ દાદાજીએ મૃત્યુ પૂર્વે શ્રદ્ધાંજલિના બે ડ્રાફ્ટ બનાવીને પરિવારના સભ્યોને આપી રાખ્યા હતા. શ્રદ્ધાંજલિનો એક ડ્રાફ્ટ એક ન્યુઝપેપરમાં છપાયા પછી એની તસવીરો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ હતી. એજીએ ફેસબુક માટે પણ શ્રદ્ધાંજલિનો ડ્રાફ્ટ બનાવ્યો હતો. એ ડ્રાફ્ટ તેમના પરિવારે ફેસબુક પર પોસ્ટ પણ કર્યો હતો.
શું લખ્યું હતું શ્રદ્ધાંજલિમાં?
‘પૃથ્વી નામના ગામમાં કોઈપણ ધર્મને આધીન ન હોય એવા નાગરિકરૂપે પોતાની શરતે જીવન જીવ્યા. જન્મજાત વિલાસી જીવ, રિસાઇકલ્ડ ટીનેજર, જીવનની આંધળી રેટ-રેસના દોડવીર (નિવૃત્ત), આજીવન ઘરરખ્ખુ પતિ, ઘર ચલાવનાર અને સાચવનાર, પાર્ટીઓ યોજવાના શોખીન, રંગમંચ અને ચિત્રપટોના અભિનેતા, ઇન્ટરનૅશનલ કાર રૅલીઓના આયોજક અને એ રૅલીઓના ડ્રાઇવર, નાસ્તિક, રેશનલિસ્ટ, માનવતાવાદી અને મુક્ત વિચારો ધરાવતી વ્યક્તિ. મિત્રો, દુશ્મનો અને બન્નેની વચ્ચેની કક્ષામાં આવતા સંબંધો ધરાવતી વ્યક્તિઓને સંબોધીને કહું છું કે તમે મારા થનગનાટભર્યા જીવનમાં સહભાગી બન્યા એ માટે તમારો આભાર. મારી પાર્ટી પૂરી થઈ. હવે જે લોકો રહી ગયા છે તેમને હૅન્ગઓવર નથી, એવી આશા રાખું છું. સૌનો સમય સમાપ્તિની દિશામાં દોડી રહ્યો છે. મસ્તીથી જીવો, મોજ કરો અને પાર્ટી ચાલુ રાખો. સંગીતકાર જૉન લેનને કહ્યું છે કે તમે અન્ય યોજનાઓ ઘડવામાં વ્યસ્ત હો ત્યારે તમારી સાથે જે બને છે એ જીવન છે.’