16 February, 2021 09:41 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent
મગધ યુનિવર્સિટીમાંથી એમએ થયેલા સત્યેન્દ્ર માંઝી નામની એક વ્યક્તિએ બિહારની ફાલગુ નદીના કાંઠે આવેલી વેરાન જમીન પર ૧૦,૦૦૦ વૃક્ષો વાવીને પેરુનો બગીચો તૈયાર કર્યો છે. લગભગ ૧૫ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલો આ પ્રોજેક્ટ પ્રારંભિક તબક્કે પૂરો કરવો ઘણો અઘરો લાગી રહ્યો હતો. જોકે માઉન્ટનમૅન દશરથ માંઝીએ સત્યેન્દ્રની જમીનની મુલાકાત લઈને તેને આ જમીનમાં પેરુનો બગીચો તૈયાર કરવા જણાવ્યું. એ સમયે જમીનમાં ઘણી સમસ્યા હતી. વૃક્ષોને પાણી પાવા માટે નદીમાંથી ઘડા ભરીને પાણી લઈ આવવું પડતું હતું. એ ઉપરાંત અનેક કાંટાળા છોડ હતા, જેની મદદથી બગીચાનું પ્રાણીઓથી રક્ષણ કરવા માટે બગીચાની આસપાસ વાડ બનાવી હતી. આ કાંટાળી વાડ આજે પણ જંગલી પ્રાણીઓને બગીચામાં આવતાં રોકે છે. અલાહાબાદનાં આ પેરુ હવે સત્યેન્દ્ર માંઝીને ઘણો નફો રળી આપે છે. પર્યાવરણનું રક્ષણ કરવાના તેના પ્રયાસ વિશે જાણીને બિહારના વર્તમાન મુખ્ય પ્રધાન નીતીશ કુમારે તેમને ચાઇલ્ડ પ્રોટેક્શન કમિશનના સભ્ય બનાવ્યા છે. સોશ્યલ મીડિયામાં સત્યેન્દ્ર માંઝીના કામની ઘણી પ્રશંસા કરવામાં આવી રહી છે.