01 December, 2022 10:53 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
૨૦૫ કિલો કાંદા વેચતાં ખેડૂતને મળ્યા ૮ રૂપિયા
કર્ણાટકનો એક ખેડૂત ૪૧૫ કિલોમીટરનો પ્રવાસ કરીને બૅન્ગલોરની યશવંતપુર માર્કેટમાં ૨૦૫ કિલો ડુંગળી વેચવા આવ્યો, તો બદલામાં તેને માત્ર ૮ રૂપિયા મળ્યા, જેની વ્યથા તેણે વર્ણવી હતી. તેને મળેલા રૂપિયાની રિસીટ વાઇરલ થઈ છે. ખેડૂતે ડુંગળી ઉગાડવા માટે તેમ જ એને બૅન્ગલોરની માર્કેટ સુધી પહોંચાડવા માટે ૨૫,૦૦૦ રૂપિયા ખર્ચ્યા હતા. ઉત્તર કર્ણાટકના ગડગ જિલ્લાના એક ખેડૂતે આટલા વિશાળ કાંદાના વેચાણમાંથી મળેલી રકમ વિશે વાત કરી હતી. હોલસેલના વેપારીએ ૧૦૦ કિલો કાંદા ૨૦૦ રૂપિયાના ભાવે લીધા હતા. ૩૭૭ રૂપિયા ફ્રેટ ચાર્જના તો ૨૪ રૂપિયા કાંદાને ઉતારવાનો ચાર્જ લેવામાં આવ્યો હતો. આમ ખેડૂતને માત્ર ૮.૩૬ રૂપિયા જ મળ્યા હતા, જેની રસીદ પણ આપવામાં આવી હતી.