28 July, 2021 10:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમ્રિતસરની ઐતિહાસિક સુરંગ લાહોર સુધી છે?
પંજાબમાં ગુરુ નગરી તરીકે જાણીતા અમ્રિતસરમાં સુરંગ મળવી કોઈ નવી વાત નથી. કહેવાય છે કે મહારાજા રણજિત સિંહના શાસનકાળમાં અમ્રિતસરથી પાકિસ્તાનના લાહોર વચ્ચે સુરંગ મારફત ગુપ્ત સંદેશા પહોંચાડવામાં આવતા હતા. એવું પણ કહેવાય છે કે અમ્રિતસરની જમીનમાં અનેક ગુપ્ત તથા રોમાંચક કિસ્સા અને વિચારો ધરબાયેલા છે.
તાજેતરમાં શ્રી અકાલ તખ્ત સાહિબ નજીકના ચંપલ-બૂટ રાખવા માટેના ઘરમાં ખોદકામ કરાયું ત્યારે એમાં એક મોટી સુરંગ જોવા મળી હતી. અમ્રિતસરમાં અગાઉ બીજી ઘણી જગ્યાએથી રાજા-મહારાજાઓના સમયકાળની સુરંગ મળી આવી હતી. મોટા ભાગની સુરંગ લાહોર સુધી જતી હોવાનું સંશોધનકારોનું માનવું છે. ઘણી સુરંગની બાબતમાં તપાસ ચાલી રહી છે, પરંતુ એવું મનાય છે કે જો તપાસ પૂરી થશે તો એમાં લાહોર સાથે હજીયે આ સુરંગ મારફત રહેલું સ્થગિત થયેલું કનેક્શન જરૂર બહાર આવશે.