21 January, 2021 08:39 AM IST | Mumbai | Mumbai correspondent
લોહીમાં મશરૂમ ઇન્જેક્ટ કર્યાં, એ ઊગ્યા હોવાનો વહેમ કે સચ્ચાઈ?
જર્નલ ઑફ ઍકૅડેમી ઑફ કન્સલ્ટેશન- લાયેઝાં સાઇકિયાટ્રીમાં એક રસપ્રદ લેખ પ્રકાશિત થયો છે. બાઇપોલાર સાઇકોલૉજિકલ ડિસીઝ-ડિપ્રેશન ધરાવતા એક ભાઈએ (નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે.) દવાઓ લેવાનું બંધ કર્યું છે. એ ભાઈ પોતાની બીમારીનો ઉપચાર જાતે કરવાના ઉદ્દેશથી મશરૂમ્સની ૨૦૦ પ્રજાતિઓમાં મળતા સાઇકેડેલિક સબસ્ટન્સ સિલોસિબિનની થેરાપ્યુટિક ઇફેક્ટ્સ એટલે કે બીમારી મટાડવાની ક્ષમતા જાણવાના પ્રયોગો કરતા હતા. પરંતુ ઊંટવૈદું કરવામાં તેમની તબિયતને ઘણું નુકસાન થયું.
એ ભાઈએ સાઇકેડેલિક સબસ્ટન્સ માટે ચોક્કસ પ્રકારનાં મશરૂમ્સનો ઉકાળો બનાવ્યો. એ ઉકાળાને રૂ વડે ગાળીને જે પ્રવાહી બચ્યું એ ઇન્જેક્શન વડે સીધું રક્તવાહિનીમાં વહેતું કર્યું. બે દિવસ પછી તેમને ઊબકા આવવા માંડ્યા. કમળો અને ઝાડા-ઊલટી સાથે તબિયત લથડવા માંડી. તેમને હૉસ્પિટલના ઇમર્જન્સી રૂમમાં વેન્ટિલેટર પર બાવીસ દિવસ રાખવા પડ્યા. જાણે મશરૂમ્સ તેમના રૂંવે-રૂંવે ઊગી નીકળ્યાં.
જર્નલના લેખમાં એ ઘટના વર્ણવીને લોકોને ચેતવણી આપવામાં આવી છે. પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ લેવા અને ઊંટવૈદું કરવા સામે લાલ બત્તી ધરવામાં આવી છે.