16 March, 2024 12:20 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ભારતની પહેલવહેલી આયુર્વેદિક રેસ્ટોરાં
દિલ્હીના શાલિમાર બાગમાં આવેલી મહર્ષિ આયુર્વેદ હૉસ્પિટલે સોમા આયુર્વેદિક કિચન નામની રેસ્ટોરાં શરૂ કરી છે જે આયુર્વેદિક સ્ટાઇલનું ફૂડ પ્રમોટ કરે છે. આ હૉસ્પિટલમાં પંચકર્મ થેરપી આપવામાં આવે છે, મેડિટેશન અને યોગ પણ કરાવવામાં આવે છે. હૉસ્પિટલ સાથે સંકળાયેલી આ રેસ્ટોરાંમાં વિઝિટર્સ પણ જમવા આવી શકે છે અને અહીં ડમ્પલિંગથી લઈને પાંઉભાજી જેવી ડિશ કાંદા-લસણ વિનાની સર્વ કરવામાં આવે છે.
આ હૉસ્પિટલના ડૉ. હિમાંશુનું કહેવું છે કે અહીં ફાસ્ટ ફૂડ પણ સર્વ થાય છે, પરંતુ એ બહાર સ્ટૉલમાં મળતી સામાન્ય ડિશ કરતાં જુદી રીતે બનાવવામાં આવે છે. તેમનાં વડાપાંઉમાં રાગી વપરાય છે જે આયુર્વેદની દૃષ્ટિએ ઠંડક કરનારી છે. અહીંનાં વડાંમાં બટાટાના માવાની ઉપર મગના લોટનું આવરણ હોય છે. આવાં વડાપાંઉ કફ દોષ ધરાવતા લોકોને રેકમન્ડ કરવામાં આવે છે. અહીં ડમ્પલિંગમાં ઘઉં, બીટ, પનીર અને પાલક જેવી ચીજોનો ઉપયોગ કરવામાં આવે છે. બૉડી ડિટૉક્સિફાય કરવા માટે આ વપરાય છે. અહીંની તમામ વાનગીઓ ઝીરો ઑઇલ, નો-મેંદા, નો-રિફાઇન્ડ શુગરથી બનેલી છે છતાં એ ટેસ્ટી હોવાનો દાવો કરવામાં આવે છે.