19 November, 2022 12:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉજ્જૈનમાં ભૈરવનાથને ૧૩૫૧ પ્રકારના ભોગમાં શરાબ અને સિગારેટ પણ ધરાવાય છે
ઉજ્જૈનમાં ભગતીપુરામાં આવેલા ૫૬ ભૈરવ મંદિરમાં બુધવારે સાંજે ભૈરવ અષ્ટમીના દિવસે ભગવાન ભૈરવનાથને દારૂ અને સિગારેટ સહિત કુલ ૧૩૫૧ પ્રકારના ભોગ ધરાવવામાં આવ્યા હતા. ઉજ્જૈનના કાલભૈરવ મંદિરમાં શરાબનો પ્રસાદ ચડાવવાની પ્રથા છે. પ્રાચીન સમયથી અહીં ભૈરવ અષ્ટમીની ઉજવણી થાય છે. એ નિમિત્તે ભૈરવબાબાને આકર્ષક રીતે શણગાર્યા બાદ પૂજા કરીને મહાભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. આ મહાભોગની વિશેષતા એ છે કે એમાં ૧૩૫૧ પ્રકારનાં વિવિધ વ્યંજનનો ભોગ ધરાવવામાં આવે છે, જેમાં વિવિધ પ્રકારના દારૂ, સિગારેટ અને ભાંગનો સમાવેશ હોય છે.
ભગવાનના ભક્તો જ મહાભોગના પ્રસાદની વ્યવસ્થા કરે છે, જે ભગવાનને ભોગ ધરાવાયા બાદ તેમના ભક્તોમાં વહેંચવામાં આવે છે. ૧૩૫૧ પ્રકારની વસ્તુઓમાં ૩૯૦ પ્રકારની અગરબત્તી, ૨૦૦ પ્રકારની અન્ય ચીજો, ૧૮૦ પ્રકારના ફેસમાસ્ક, ૬૪ પ્રકારની ચૉકલેટ, ૫૫ પ્રકારની મીઠાઈ, ૪૫ પ્રકારનાં બિસ્કિટ, ૬૦ પ્રકારનાં ગુજરાતી નમકીન, ૫૬ પ્રકારના નાસ્તા, ૭૫ પ્રકારનાં ડ્રાયફ્રૂટ્સ, ૩૦ પ્રકારના ગજક, ૨૮ પ્રકારનાં સૉફ્ટ ડ્રિન્ક્સ, ૨૮ પ્રકારનાં ફળ, ૪૦ પ્રકારના દારૂ (રમ, વ્હિસ્કી, ટકિલા, વોડકા, બિયર અને શૅમ્પેન), ચિલમ, કેનાબીસ, ૪૦ પ્રકારની બેકરીની વસ્તુઓ જેવી વાનગીઓ તથા ૬૦ પ્રકારનાં સિગારેટનાં પાઉચનો સમાવેશ છે.