25 October, 2020 09:09 AM IST | Mumbai | Mumbai correspondent
આ ત્રણ માળના પંખીઓના ઘરમાં રોજ ૫૦૦૦ પંખીઓ ૧૫૦ કિલો ચણ ચટ કરી જાય છે
રાજસ્થાનના બાડમેરમાં કિશનલાલ છાજેડ અને માંગીલાલ મહાજન નામના બે સમાજસેવકોએ પક્ષીઓને દાણો-પાણી મળી રહે એ માટે ત્રણ માળનું એક બિલ્ડિંગ તૈયાર કર્યું છે, જેમાં રોજ લગભગ ૫૦૦૦ પક્ષીઓ ચણવા આવે છે. પક્ષીઓને અનુકૂળ કુદરતી વાતાવરણ મળી રહે એ માટે આ બિલ્ડિંગની ચારે બાજુ વૃક્ષો ઉગાડવામાં આવ્યાં છે.
બાડમેર જિલ્લાનું ભાદરેશ ગામ પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા બાદ એ પૂરા દેશમાં જાણીતું બન્યું છે. શરૂઆતમાં પાવર પ્લાન્ટનો વિકાસ થઈ રહ્યો હતો ત્યારે લોકો પ્રકૃતિથી દૂર થઈ રહ્યા હતા. જોકે સમાજસેવા સંસ્થાઓ અને પ્રકૃતિપ્રેમીઓના પ્રયાસોથી ભાદરેશ ગામની સવાર હવે પક્ષોના કલરવ સાથે ઊગે છે.
આ બિલ્ડિંગમાં કબૂતરો અને અન્ય પક્ષીઓને દાણા-પાણીની સમસ્યા ન થાય એ માટે સંસ્થાનું ગઠન કરી ભંડોળ એકઠું કર્યું છે. ૬૨૫ ચોરસ મીટરમાં ફેલાયેલા આ બિલ્ડિંગમાં રોજ પાંચ હજાર જેટલાં પક્ષીઓ માટે લગભગ ૧૫૦ કિલો દાણા વપરાય છે, જેનો ખર્ચ વર્ષે લગભગ ૧૦ લાખ રૂપિયા થાય છે. સમાજસેવી કિશનલાલ છાજેડના જણાવ્યા અનુસાર રાજસ્થાનનું એક નાનકડું ગામ હોવા છતાં લોકો દિલ ખોલીને દાન કરી રહ્યા હોવાથી એનો ખર્ચ નીકળી જાય છે. આ બિલ્ડિંગમાં પક્ષીઓના વસવાટ માટે ઋતુ પ્રમાણે ફેરફાર કરવામાં આવે છે તેમ જ પક્ષીઓના પ્રજનન માટે એક અલગ સ્થળે ૩૦૦ જેટલા માળા તૈયાર કરીને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
ભવિષ્યમાં કિશનલાલ છાજેડ અને માંગીલાલ મહાજન બિલ્ડિંગની નજીકમાં જ ૯૦૦ ચોરસ ફીટના વિસ્તારમાં નાનાં-નાનાં ઘરો ધરાવતું સાત માળનું ભવ્ય પીજન હાઉસ બનાવવાની યોજના ધરાવે છે. આ પીજન હાઉસ પાસે જ બગીચો પણ તૈયાર કરાશે, જેથી પક્ષીઓને પ્રાકૃતિક વાતાવરણનો અનુભવ કરાવી શકાય.