02 February, 2026 01:06 PM IST | Haryana | Gujarati Mid-day Correspondent
મામચંદભાઈ
હરિયાણામાં ભગવાનપુર ગામમાં એક દીકરાએ પિતાની પ્રૉપર્ટી હડપી લેવા માટે પિતાને જીવતેજીવ મારી નાખ્યા. મતલબ કે તેમને સરકારી ચોપડા પર મૃત જાહેર કરી દીધા. આ માટે તેમણે પિતા મામચંદભાઈનું ક્રિયાકર્મ પણ કરી નાખ્યું અને હરિદ્વારમાં પંડિતોના રજિસ્ટરમાં પણ નામ લખાવીને કામ તમામ કરી નાખ્યું. પિતાએ જ્યારે પોલીસમાં જઈને ફરિયાદ કરી ત્યારે આ ઘટના સામે આવી હતી. મામચંદનું કહેવું છે કે બે વર્ષ પહેલાં તેમની પત્નીનું નિધન થઈ ગયું હતું. તેમના બે દીકરાઓ મહેશ અને ભૂષણ તેમ જ દીકરીનાં લગ્ન થઈ ચૂક્યાં છે. બન્ને દીકરાઓને અલગ-અલગ મકાન બનાવી આપ્યાં હતાં. પિતાનું કહેવું છે કે મોટો દીકરો મહેશ પિતા જે ઘરમાં રહેતા હતા એ ઘર પણ હડપવા માગતો હોવાથી આમ કર્યું હતું. જોકે દીકરા મહેશનું કહેવું છે કે ‘પિતાને દારૂ પીવાની આદત છે અને કોઈ મહિલા સાથે તેમના સંબંધ છે. તેની સાથેના ફોટોગ્રાફ્સ પણ ઇન્ટરનેટ પર મૂકે છે. તેઓ કોઈ અજાણી મહિલા સાથે સોશ્યલ મીડિયા પર તસવીરો શૅર કરતા હોવાથી સમાજમાં બદનામી થાય છે.’