04 December, 2021 03:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લગ્ને-લગ્ને કુંવારી મહિલા ૧૧ લગ્ન બાદ પણ હજી લગ્નોત્સુક
આપણાં શાસ્ત્રોમાં જીવનને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યું છે; બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. જે મુજબ ૫૦થી ૭૫ વાનપ્રસ્થાશ્રમનાં છે, મતલબ કે આ સમય દરમ્યાન માનવીએ વનવાસી જેવું જીવન જીવવું જોઈએ. મોનેટ નામની આ મહિલાએ તેની બાવન વર્ષની વય સુધીમાં કુલ ૯ પુરુષો સાથે ૧૧ વાર લગ્ન કર્યાં છે, પણ હજી તે સુપાત્રની શોધમાં છે. તેનાં સૌપ્રથમ લગ્ન સ્કૂલ છોડ્યાના થોડા સમયમાં જ તેના ભાઈના મિત્ર સાથે યુવાનવયે જ થયાં હતાં. જોકે એ લગ્ન લાંબાં ચાલ્યાં નહીં. એક લગ્નમાં નિષ્ફળતા મળે એટલે ત્યાંથી છૂટી પડીને બીજા પુરુષ સાથે જોડાઈ હતી. એમ નહોતું કે તે લગ્ન વિશે ગંભીર નહોતી, પ્રત્યેક લગ્ન વખતે તેની ઈશ્વરને એક જ પ્રાર્થના રહેતી કે આ લગ્નમાં વિચ્છેદ ન આવે, પરંતુ તેનાં કોઈ લગ્ન ટક્યાં નહોતાં. તેના જીવનમાં આવેલા તમામ પુરુષોમાં એક યા બીજી વિશિષ્ટતાઓ હતી, પરંતુ તેમનો સંબંધ વધુ ટકી શક્યો નહીં. બાવન વર્ષની વય સુધી તેને કુલ ૨૮ જેટલી વાર લગ્નની દરખાસ્ત મળી હતી.