25 April, 2024 10:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારત સહિત દુનિયાભરના દેશોમાં વિમાનના પ્રવાસીઓની સંખ્યા વધી છે અને એ સાથે ઍરલાઇન્સ સામેની ફરિયાદો પણ વધી છે. જોકે ઘણી વાર ઍરલાઇન્સ દ્વારા ધાર્યા કરતાં વધારે સારી સર્વિસ પૂરી પાડવામાં આવે ત્યારે આશ્ચર્ય થાય છે. હાલમાં આવો જ અનુભવ પૉન્ડિચેરીના મનીષ કલઘાટગીને થયો હતો. તેમની ૧૫ વર્ષની દીકરી સોલો ટૂર પર વિદેશ ગઈ હતી. તે કાસાબ્લાન્કાથી ચેન્નઈની ફ્લાઇટમાં આવી રહી હતી. જોકે એ પહેલાં એક અણધાર્યો ટ્વિસ્ટ આવ્યો. વહેલી સવારે ૪ વાગ્યે મનીષ કલઘાટગીના ફોનમાં અજાણ્યા નંબર પરથી કૉલ આવ્યો હતો. આ કૉલ એમિરેટ્સ ઍરલાઇન્સમાંથી આવ્યો હતો. ઍરલાઇન્સના અધિકારીએ જણાવ્યું કે ‘તમારી દીકરી દુબઈમાં તેની કનેક્ટિંગ ફ્લાઇટ ચૂકી ગઈ છે. તમે ચિંતા ન કરતા, કારણ કે અમે સારી રીતે તેનું ધ્યાન રાખી રહ્યા છીએ.’ ફ્લાઇટ ચૂકી ગયા પછી ઍરલાઇને મનીષભાઈની દીકરીને હોટેલમાં સ્ટે આપ્યો હતો. ત્યાર બાદ તેને નેક્સ્ટ ફ્લાઇટમાં બેસાડીને ચેન્નઈ મોકલવામાં આવી હતી.