08 December, 2022 11:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હાથીની મૂર્તિમાંથી નીકળવા જતાં ફસાઈ ગયો ભક્ત
ઈશ્વર પાસેથી આશીર્વાદ મેળવવા લોકો મંદિર જતા હોય છે. વળી તેમને ખુશ કરવા માટે જાતજાતની વિધિઓમાં પણ હોંશે-હોંશે ભાગ લે છે. પણ ઘણી વખત આવી પરંપરાઓનું પાલન કરવા જતાં મુસીબતમાં પણ મુકાઈ જતા હોય છે. આવી જ એક ઘટનામાં એક ભક્ત હાથીની મૂર્તિમાંથી પસાર થતી વખતે ફસાઈ ગયો હતો. તે એમાંથી બહાર નીકળવાના ઘણા પ્રયાસ કરતો હતો. વિડિયોમાં લોકો તેને બહાર નીકળવા માટે જાતજાતની સલાહ પણ આપતા હતા. એક યુઝરે આ વિડિયો જોઈને કમેન્ટ કરતાં કહ્યુ હતું કે તે જરૂર મહાપાપી હોવો જોઈએ, તેથી જ ફસાઈ ગયો છે.
૨૦૧૯માં પણ કંઈક આવી જ ઘટના થઈ હતી જેમાં એક મહિલા પણ હાથીની પ્રતિમાની નીચેથી સરકીને જવાનો પ્રયાસ કરતી વખતે પગ વચ્ચે ફસાઈ ગઈ હતી. તે નીકળી ત્યારે લોકોએ તાળી પણ પાડી હતી. વધુપડતી ભક્તિ પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એવું એક યુઝરે કમેન્ટ કરતાં કહ્યું હતું.