ભંગારમાં આપી દીધેલી લોખંડની જૂની અલમારીમાંથી નીકળ્યાં દસ લાખનાં ઘરેણાં

27 February, 2026 01:07 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હીના રોહિણી વિસ્તારમાં સેક્ટર પચીસમાં રહેતી ચાંદનીકુમારીના ઘરે લોખંડની એક તિજોરી કાટ ખાતી પડી હતી.

પ્રતીકાત્મક તસવીર

દિલ્હીના રોહિણી વિસ્તારમાં સેક્ટર પચીસમાં રહેતી ચાંદનીકુમારીના ઘરે લોખંડની એક તિજોરી કાટ ખાતી પડી હતી. ચાંદનીએ જૂના સામાન ભેગી એ તિજોરી પણ ભંગારમાં આપી દીધી. જ્યારે કબાડીવાળો આવ્યો અને લઈ ગયો ત્યાં સુધી ચાંદનીને ખબર પણ નહોતી કે તિજોરીના લૉકરમાં ઘરેણાં પડ્યાં છે. એ પણ નાની-સૂની કિંમતનાં નહીં, પૂરાં ૧૦ લાખ રૂપિયાનાં. ભંગાર લઈ ગયેલા અશરફ નામના માણસે જ્યારે બીજા દિવસે તિજોરી ખોલીને અંદરથી સાફ કરી તો તેને લૉકર દેખાયું. લૉકર તોડીને જોયું તો એમાં સ્ટીલનો ડબ્બો મળ્યો. એ ડબ્બામાં સોનાનાં ઝૂમખાં, વીંટી, મંગળસૂત્ર, નથ અને ચાંદીનાં આભૂષણો દેખાયાં. અશરફ આ સામાન પોતાની પાસે રાખી લેવાને બદલે મૂળ માલિક પાસે આવ્યો. તેણે ચાંદનીકુમારીને એ ઘરેણાં પાછાં 
આપ્યાં. 

offbeat news delhi news new delhi national news india