21 June, 2025 03:41 PM IST | Mathura | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
મથુરા જંક્શન રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર આઠ પર મૃત્યુ પામેલી હાલતમાં મળી આવેલા એક ભિક્ષુકની ઓળખ કરવા માટે જ્યારે પોલીસે તેની ઝોળી ફંફોસી ત્યારે ચોંકાવનારી ઘટના બની હતી. તેના થેલામાંથી તે કોણ છે એની તો ખબર ન પડી, પણ તેણે ભીખ માગીને એકઠા કરેલો ચિલ્લર અને નોટોનો ખજાનો મળ્યો હતો. પોલીસે એ બધું ગણ્યું તો ૯૧,૦૦૦ રૂપિયાથી વધુ રકમ નીકળી હતી. તેના સામાનમાંથી વૃંદાવનની પંજાબ નૅશનલ બૅન્કમાંથી પૈસા કાઢ્યાની રિસીટ પણ મળી છે. એના આધારે હવે પોલીસ તેની ઓળખ મેળવવાની કોશિશ કરશે. રેલવે-પ્લૅટફૉર્મ પરના સ્ટૉલવાળાઓનું કહેવું છે કે આ ભિક્ષુક ઘણા મહિનાથી અહીં ભિક્ષા માગવા બેસતો હતો. તેના થેલામાંથી એક બૅન્કની રિસીટમાં હરિદાન દેવનાથ લખેલું જોવા મળેલું અને સાથે એક સિમ કાર્ડ વિનાનો ફોન પણ હતો.