15 August, 2024 10:37 AM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent
આદિ નામનો ઉત્સવ
શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે પાતળી ભેદરેખા હોય છે અને એટલે ઘણી વાર લોકો ભેદ પારખી શકતા નથી. તામિલનાડુના તિરુવલ્લુરમાં આવી જ એક ઘટના બની ગઈ. ત્યાં આદિ નામનો ઉત્સવ ઊજવાય છે. એમાં ધગધગતા અંગારા પર ભાવિક ભક્તો ચાલે એવી દાયકાઓ જૂની પરંપરા છે. તિરુવલ્લુરના અરામબક્કમના મંદિર પાસે પણ આદિ ઉત્સવની તૈયારી કરાઈ હતી. અંગારા ધખી રહ્યા હતા, એના પરથી ૧૦૦થી વધુ શ્રદ્ધાળુઓ ચાલ્યા હતા. જોકે એ પછી સાત વર્ષના મોનિશ નામના એક બાળકને પણ અંગારા પર ચાલવા માટે દબાણ કરવામાં આવ્યું. છોકરો ડરને કારણે ખૂબ આનાકાની કરી રહ્યો હતો, પણ તેને સળગતા અંગારાના ખાડામાં મૂકવામાં આવ્યો હતો. જોકે બાળક ચાલતાં-ચાલતાં અંદર ગબડી પડ્યો હતો. બાળક પડ્યું એવું તરત જ લોકો તેને બચાવવા દોડી ગયા હતા, પરંતુ એ પહેલાં મોનિશ ગંભીર રીતે દાઝી ગયો હતો. હૉસ્પિટલમાં ખસેડતાં ખબર પડી હતી કે તે ૪૦ ટકા દાઝી ગયો છે.