28 April, 2026 05:05 PM IST | Kyozan | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (એઆઇ)
ઓડિશાના કેઓંઝર જિલ્લામાં માનવતાને હચમચાવી દે તેવી એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. બેંકના કડક નિયમો અને કાગળિયાની માયાજાળ સામે લાચાર બનેલો એક ગરીબ આદિવાસી ભાઈ તેની મૃત બહેનના ખાતામાંથી માત્ર 19,300 રૂપિયા કઢાવવા માટે તેનો કંકાલ ખભા પર ઉંચકીને બેંક પહોંચી ગયો હતો.
કેઓંઝર જિલ્લાના પટના બ્લોક હેઠળના ડિયાનાલી ગામમાં રહેતા જીતુ મુંડાની મોટી બહેન કાલરા મુંડાનું મૃત્યુ 26 જાન્યુઆરી 2026ના રોજ થયું હતું. કાલરાના પતિ અને એકમાત્ર સંતાનનું અગાઉ મૃત્યુ થઈ ચૂક્યું હોવાથી જીતુ જ તેનો એકમાત્ર જીવિત સંબંધી અને વારસદાર હતો. અત્યંત ગરીબ આર્થિક સ્થિતિને કારણે જીવનનિર્વાહ માટે તેને બહેનના ખાતામાં જમા રહેલી રકમની ખૂબ જ જરૂર હતી.
જીતુ જ્યારે ઓડિશા ગ્રામીણ બેંકની મલ્લીપાસિ શાખામાં પૈસા લેવા ગયો ત્યારે બેંક કર્મચારીઓએ તેને કાં તો ખાતાધારકને હાજર કરવા અથવા ડેથ સર્ટિફિકેટ અને કાયદેસરના વારસદાર હોવાનો પુરાવો રજૂ કરવા જણાવ્યું હતું. જીતુ આદિવાસી અને અભણ હોવાથી તેને વારસદાર કે નોમિની જેવી કાયદાકીય પ્રક્રિયાની કોઈ સમજ નહોતી અને તેની પાસે કોઈ દસ્તાવેજો પણ નહોતા. વારંવાર બેંકના ધક્કા ખાવા છતાં જ્યારે કોઈ મદદ ન મળી ત્યારે લાચાર જીતુએ તેની બહેનની કબર ખોદીને તેમાંથી કંકાલ કાઢ્યું હતું. તે આ અવશેષોને કપડામાં લપેટીને આશરે 3 કિલોમીટર સુધી પગપાળા ચાલીને બેંક પહોંચ્યો અને બેંકના વરંડામાં તે કંકાલ મૂકી દીધું હતું. આ ભયાનક દ્રશ્ય જોઈને બેંકમાં હાજર લોકો અને કર્મચારીઓમાં ફફડાટ મચી ગયો હતો.
જો કે આ ઘટના પછી જીતુ મુંડાની લાચારી સમજીને પોલીસે તેને ખાતરી આપી કે તેની મૃતક બહેનના ખાતામાંથી તેને બૅંક પૈસા વિડ્રો કરી આપશે. જીતુની બહેનના કંકાલ તંત્રને બાદમાં ફરી વાર પોલીસની હાજરીમાં જ દફનાવી દેવાયું હતું.
એક મીડિયા રિપોર્ટ અનુસાર બૅંકના અધીકારીએ કહ્યું હતું કે કોઈએ મૃતક કાલરા મુંડાના કાયદાકીય વારસ તરીકે સંપર્ક કર્યો નહોતો અને તેમને આજે જે આખી ઘટનાની જાણ થઈ હતી. બૅંકના અન્ય સુત્રો અનુસાર મૃતકના ખાતામાં જે નોમીનીનું નામ હતું તે પણ જીવીત નથી અને આમ જીતુ મુંડા જ એક માત્ર દાવેદાર હોવાથી તેમને ખાતાના પૈસા મળી શકે, જો કે સરકારી દસ્તાવેજોની સમજણ ન હોવાના પરિણામે આવી વિચિત્ર અરેરાટી ઉપજાવે એવી ઘટના બની.
ઘટનાની જાણ થતા જ પટના બ્લોકની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ નિરીક્ષક કિરણ પ્રસાદ સાહુએ જણાવ્યું કે જીતુ કાયદાકીય નિયમોથી સંપૂર્ણ અજાણ હતો અને બેંકના અધિકારીઓ પણ તેને યોગ્ય પ્રક્રિયા સમજાવી શક્યા નહોતા. પોલીસે જીતુને સાંત્વના આપીને માનવીય ધોરણે બેંકમાંથી પૈસા અપાવવાની ખાતરી આપી છે. ત્યારબાદ પોલીસની હાજરીમાં બહેનના અવશેષોને ફરીથી સન્માનપૂર્વક દફનાવવામાં આવ્યા હતા.