13 August, 2019 11:56 AM IST | કેરળ
કપડાંના વેપારી
ગયા વર્ષની જેમ ફરી એક વાર કેરળ પૂરને કારણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લાખો લોકો બેઘર થયા છે અને સામાજિક સંસ્થાઓ અને સ્વયંસેવકોની ટીમ રાત-દિવસ પૂરગ્રસ્તો માટે પ્રાથમિક ચીજોનું વિતરણ કરી રહ્યા છે. અલબત્ત, અત્યારે ભારતના અન્ય ક્ષેત્રોમાં પણ પૂરની સ્થિતિ હોવાથી ગયા વર્ષની જેમ બહારના રાજ્યો તરફથી પૂરગ્રસ્તોને એટલી મદદ નથી મળી રહી. જોકે એર્નાકુલમના નૌશાદ નામના એક વેપારીએ જબરી દરિયાદિલી દાખવી છે. જ્યારે વૉલન્ટિયર્સ તેની પાસે મદદ માગવા ગયા ત્યારે નૌશાદે તેનું ગોડાઉન ખોલી આપ્યું અને કપડાંનો જેટલો પણ સ્ટૉક હતો એ બધો જ દાનમાં આપી દીધો.
આ પણ વાંચો : 2 કલાક કપડા વગર બેસીને આ વ્યક્તિએ બનાવ્યો ખાસ રેકોર્ડ
જ્યારે સ્વયંસેવકો તેને ત્યાં ગયા ત્યારે નૌશાદ તેમને ગોડાઉનમાં લઈ ગયો અને કહ્યું કે વાયનાડના પૂરગ્રસ્તો માટે તે કપડાં આપવા માગે છે. જોકે અંદર ગયા પછી તેણે બધો જ સામાન બૅગમાં ભરવાનું શરૂ કર્યું ત્યારે છેક ખબર પડી કે ભાઈસાહેબ આખા ગોડાઉનનો બધો જ સામાન દાન આપવા જઈ રહ્યા છે. જ્યારે સ્વયંસેવકોએ તેને રોક્યો તો તેણે કહ્યું કે, ‘જ્યારે હું મૃત્યુ પામીશ ત્યારે આમાંનું કશું જ મારા ભેગું નથી આાનું. લોકોને મદદ કરવી એ જ મારો નફો છે અને આ જ મારી ઇદ છે.’