25 April, 2020 09:28 AM IST | Mumbai Desk
ઇન્ડોનેશિયાનું ભૂતિયા ઘર
ઇન્ડોનેશિયાના રાજકારણી કોરોના રોગચાળાના માહોલમાં લૉકડાઉન તોડનારા લોકોને અનોખી શિક્ષા કરી રહ્યા છે. એ દેશના જાવા ટાપુ પરના સ્રેજન રિજન્સી ક્ષેત્રના મુખિયા કુત્સીનાર ઉન્તુંગ યુની સુકોવાતીએ સ્થાનિક લોકોમાં ભૂતના ભયનો સદુપયોગ કરવા માંડ્યો છે. જાકાર્તા તથા અન્ય મુખ્ય શહેરોમાં લોકો લૉકડાઉન હોવા છતાં બહાર નીકળે છે અને એ પછી સોશ્યલ ડિસ્ટન્સિંગની દરકાર રાખતા નથી. તેમને અમુક કિસ્સામાં ૧૪ દિવસ સેલ્ફ આઇસોલેશન કે ક્વૉરન્ટીનની અનિવાર્યતા પણ સમજાતી નથી. એ બાબતને ધ્યાનમાં લઈને સુકોવાતીએ એવા લોકોને ભૂતનો ભય બતાવવાનો નિર્ણય લીધો છે. સુકોવાતીએ જણાવ્યું હતું કે ‘એવા લોકોને ક્વૉરન્ટીન કરવા કે આઇસોલેશન માટે બંધ પડેલી શાળા કે ત્યજી દેવાયેલા ઘરમાં રાખવાની ઑફર ઘણાં ગામમાંથી મળી છે. મેં જરૂર પડે તો એવા બેદરકાર લોકોને એવી શાળાઓ કે ઘરોમાં પૂરી દેવાની પરવાનગી આપી દીધી છે. તેમના ખોરાક-પાણીની અમે કાળજી રાખીશું અને તબિયતની પણ કાળજી રાખીશું. કેટલાંક ગામોમાં ભૂતિયા ભવન તરીકે ઓળખાતા મકાનમાં કેટલાક લોકોને ક્વૉરન્ટીન કરવાનું શરૂ કર્યું છે. સેપટ નામના ગામમાં એક મોટા ઘરમાં ત્રણ જણને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. તેમને નાસ્તો, જમવાનું, પાણી, દવાઓ તથા અન્ય વ્યવસ્થા કરી આપવામાં આવી છે.’