20 July, 2019 08:43 AM IST | છત્તીસગઢ
પ્લાસ્ટિક કચરો આપો અને મેળવો ફ્રી ભોજન
છત્તીસગઢના અંબિકાપુર શહેરની મ્યુનિસિપાલિટીએ શહેરને પ્લાસ્ટિકમુક્ત કરવાની અનોખી સ્કીમ તૈયાર કરી છે. પ્લાસ્ટિક અન્ય કચરા સાથે ભળી જાય છે ત્યારે એને રિસાઇકલ કરવાનું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. એવામાં અંબિકાપુરમાં ગાર્બેજ કૅફે શરૂ કરવામાં આવ્યું છે. એનાથી બેઘર અને ગરીબ લોકોના પેટનો ખાડો પણ પુરાય છે અને શહેરમાંથી કચરો પણ સાફ થાય છે.
આ ગાર્બેજ કૅફેમાં જે વ્યક્તિ એક કિલો પ્લાસ્ટિકનો કચરો લઈ આવે એને એક ટંકનું ભોજન અને ૫૦૦ ગ્રામ કચરો લાવનારને નાસ્તો મફતમાં આપવામાં આવશે. હાલમાં ઇન્દોર પછી અંબિકાપુર એ દેશનું બીજા નંબરનું સૌથી સ્વચ્છ શહેર છે. આ શહેરને પ્લાસ્ટિકમુક્ત કરવા માટે સુધરાઈએ અનેક હટકે વિકલ્પો અપનાવ્યા છે.
આ પણ વાંચો : બોલો, રેકૉર્ડ તોડવા આ ભાઈ પાંચ દિવસ ટૉઇલેટ સીટ પર બેસી રહ્યા
અહીં આઠ લાખ પ્લાસ્ટિક બૅગોમાં ડામરનું મિશ્રણ કરીને પ્લાસ્ટિકનો રોડ પણ બનાવવામાં આવ્યો છે. શહેરના મેયર અજય તિરકેનું કહેવું છે કે આ કૅફેને શરૂઆતથી જ બહુ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.