મોદી તેમની પત્ની વિશે કેમ ચૂપ છે? : દિગ્વિજય સિંહ

02 November, 2012 02:49 AM IST  | 

મોદી તેમની પત્ની વિશે કેમ ચૂપ છે? : દિગ્વિજય સિંહ

હિમાચલ પ્રદેશમાં પ્રચાર માટે આવેલા દિગ્વિજય સિંહે ગઈ કાલે સિમલામાં એક પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન મોદીને તેઓ પરિણીત છે કે નહીં એવો સવાલ પૂછ્યો હતો. મોદીએ અગાઉ કેન્દ્રીય પ્રધાન શશી થરૂરની પત્ની સુનંદા પુષ્કરને ૫૦ કરોડ રૂપિયાની ગર્લફ્રેન્ડ ગણાવી હતી. આ વિશે દિગ્વિજય સિંહે નરેન્દ્ર મોદીને તેમનાં પત્ની જશોદાબહેન વિશે ખુલાસો કરવાની ચૅલેન્જ આપી હતી.

મોદી પર પર્સનલ અટૅક કરતાં દિગ્વિજય સિંહે સવાલ પૂછ્યો હતો કે ‘મોદી તેમની પત્નીને લઈને કેમ ચૂપ છે? જો તમે ઇન્ટરનેટ પર ચેક કરશો તે જશોદાબહેન તેમની પત્ની હોવાનું ખબર પડશે. મોદીએ સ્પષ્ટતા કરવી પડશે કે શું તેમણે જશોદાબહેન સાથે લગ્ન કયાર઼્ છે કે નહીં? શું તેમણે જશોદાબહેનને ડિવૉર્સ આપ્યા છે કે નહીં? જો નથી આપ્યા તો તેઓ તેમની સાથે કેમ નથી રહેતા?’   

દિગ્વિજય સિંહે એમ પણ કહ્યું હતું કે ‘હું ક્યારેય પર્સનલ અટૅક નથી કરતો પણ મોદીએ શશી થરૂરની વાઇફ વિશે કરેલી કમેન્ટ બાદ મને આ સવાલો પૂછવાની ફરજ પડી છે. મોદીની કમેન્ટ માત્ર શશી થરૂરની વાઇફ પૂરતી ન હતી. આ કમેન્ટ તમામ મહિલાઓનું અપમાન હતું.’ અગાઉ મંગળવારે શશી થરૂરે મોદીને જવાબ આપતાં પોતાની પત્ની અમૂલ્ય ગણાવી હતી અને કહ્યું હતું કે આ સમજવા માટે મોદીએ કોઈને પ્રેમ કરવો પડશે.