05 May, 2026 08:57 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
ડૉ. શ્યામા પ્રસાદ મુખર
પશ્ચિમ બંગાળના રાજકારણમાં ગઈ કાલે એક નવો સ્વર્ણિમ ઇતિહાસ રચાયો હતો. જનસંઘના સંસ્થાપક અને BJPના પિતામહ ગણાતા ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીની જન્મભૂમિ પર સાડાસાત દાયકા બાદ એટલે કે ૭૫ વર્ષની લાંબી રાહ જોયા પછી આખરે કમળ ખીલ્યું છે. હુગલીની લહેરોથી દાર્જીલિંગના પર્વતો સુધી જય શ્રીરામના નારા ગૂંજ્યા છે જે પશ્ચિમ બંગાળના રાજકીય મિજાજની બદલાતી તાસીરનો ચિતાર આપે છે.
BJPની મહિલા સમર્થકોએ કલકત્તાની પાર્ટી ઑફિસ પર ઝાલમુરી ખાઈને ઉજવણી કરી હતી. કલકત્તામાં BJPના સમર્થકોએ ગુલાલ ઉડાડીને જીતનો જશન મનાવ્યો હતો.
આ જીતને BJPએ માત્ર ચૂંટણીની જીત નહીં પરંતુ વૈચારિક વિજય ગણાવ્યો છે. પશ્ચિમ બંગાળમાં જે રીતે BJP પર લોકોએ વિશ્વાસ મૂક્યો છે એ બતાવે છે કે અહીંની જનતાએ હવે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને અપનાવી લીધો છે. છેલ્લાં ૧૫ વર્ષથી સત્તાધીન મમતા બૅનરજીને માત્ર સત્તામાંથી જ હટાવવાની વાત અહીં નથી, પરંતુ સામાજિક અને વૈચારિક વિજય છે.
કાશ્મીર પછી પશ્ચિમ બંગાળ પર જીત મેળવીને BJPએ પિતૃઋણ ચૂકવ્યું છે. ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીએ નારો આપ્યો હતો કે એક દેશમાં બે વિધાન, બે પ્રધાન અને બે નિશાન નહીં ચાલે. કેન્દ્ર સરકારે કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવીને એક સંકલ્પ પૂરો કર્યો હતો, પરંતુ તેમની જન્મભૂમિ બંગાળમાં BJPની સરકારનું તેમનું સપનું અધૂરું હતું.