21 August, 2020 07:35 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું VVIP બોઇંગ પ્લેન 'એર ઇન્ડિયા વન' આવી રહ્યું છે. જે આવતા અઠવાડિયે તે દિલ્હીમાં લેન્ડ કરશે. સરકારે પહોળું માળખું ધરાવતા સ્પેશ્યિલ બોઇંગ 777-300 ER પ્લેન ઑર્ડર કર્યા છે. તેમાંથી એક PM મોદી માટે અને બીજું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે હશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા ઉપયોગમાં લેવાતા એરફોર્સ વનના આધાર પર જ ભારત માટે VVIP એરક્રાફ્ટ એર ઇન્ડિયા વન તૈયાર કરવામાં આવ્યું છે. પ્લેનને અમેરિકામાં વિશેષ રીતે તૈયાર કરવામા આવી રહ્યા છે. તેમના આગમન બાદ એર ઇન્ડિયા VVIP કેટેગરીમાંથી 25 વર્ષ જૂના બોઇંગ 747 વિમાનનો નિકાલ કરવામાં આવશે.
આ બન્ને પ્લેન ભારતીય એરફોર્સના પાયલટ દ્વારા ચલાવવામા આવશે. એર ઇન્ડિયા, ઇન્ડિયન એરફોર્સ અને સરકારના અમુક અધિકારીઓ સાથે સુરક્ષાકર્મીઓનું એક ગ્રુપ આ પ્લેનને ભારત લાવવા માટે અમેરિકા રવાના થયું છે.
આ પ્લેનની ખાસિયત એ છે કે, એર ઇન્ડિયા વન એડવાન્સ્ડ અને સિક્યોર કમ્યુનિકેશન સિસ્ટમથી સજ્જ છે. આ વિમાન એક રીતે હવાઇ કમાન્ડ કેન્દ્ર તરીકે કામ કરે છે જેના લેટેસ્ટ ઓડિયો-વીડિયો સંચારને હેક અથવા તો ટેપ ન કરી શકાય.
આ પ્લેન મજબૂત કિલ્લા જેવું છે. તેની ખરીદી માટે લગભગ 8458 કરોડ રૂપિયાનો ખર્ચો થશે. આ પ્લેનમાં પોતાની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ, સેલ્ફ પ્રોટેક્શન સૂટ છે જે દુશ્મન દેશોની રડાર ફ્રિક્વન્સીને જામ કરી શકે છે.
આ પ્લેનની અંદર એક કોન્ફરન્સ રૂમ, VVIP મહેમાનો માટે કેબિન, એક મેડિકલ સેન્ટર અને સાથે સ્ટાફ માટે સીટો હશે. પ્લેન પર ઇન્ડિયા વન (જેને AI-1 or AICOO1 પણ કહેવામા આવે છે)ની ખાસ પ્રકારની સાઇન હશે.
આ સાઇનનો અર્થ છે કે તે વિમાનમાં વડાપ્રધાન અથવા રાષ્ટ્રપતિ સવારી કરી રહ્યા છે. તેમ જ અશોક ચક્ર સાથે ભારત અન ઇન્ડિયા પણ લખેલું હશે. એક વખત ઇંધણ ભરીને આ પ્લેનમાં સતત 17 કલાક સુધી ફ્લાય કરી શકાશે. અત્યારે VVIP ગ્રુપમાં જે વિમાન છે તે સતત 10 કલાક જ ફ્લાય કરી શકે છે.