અતીક અહેમદને લઈને જાલૌન પહોંચી યુપી પોલીસની ટીમ: રસ્તામાં ત્રણવાર રોકાયો કાફલો

27 March, 2023 01:20 PM IST  |  Prayagraj | Gujarati Mid-day Online Correspondent

અતીક અહેમદને પ્રયાગરાજની નૈની જેલ પહોંચવામાં સાંજે 5 વાગ્યા સુધીનો સમય લાગી શકે છે. દરમિયાન, અતીક અહેમદના આગમન પહેલા જ નૈની જેલમાં તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે

ફાઇલ તસવીર

ઉમેશ પાલ અપહરણ કેસના મુખ્ય આરોપી માફિયા ડોન અતીક અહેમદ (Atique Ahmed)ને ગુજરાતની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી પ્રયાગરાજ લઈ જતી પોલીસની ટીમ હવે ઉત્તરપ્રદેશ પહોંચી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે અતીક અહેમદને પ્રયાગરાજની નૈની જેલ પહોંચવામાં સાંજે 5 વાગ્યા સુધીનો સમય લાગી શકે છે. દરમિયાન, અતીક અહેમદના આગમન પહેલા જ નૈની જેલમાં તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. તેને અહીં હાઈ સિક્યોરિટી સેલમાં રાખવામાં આવશે, જ્યાં કેમેરા દરેક વિગતો પર નજર રાખશે.

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં પ્રવેશતા જ અતીકે મીડિયાને કહ્યું કે “મને કોઈનો ડર નથી.” અતીકનો કાફલો આજે રસ્તામાં ત્રણ વખત ઊભો રહ્યો હતો. આજે સવારે નવ વાગ્યે અતીકનો કાફલો ઝાંસી રિઝર્વ પોલીસ લાઇનમાં પહોંચ્યો હતો. અહીં પોલીસના જવાનો માટે નાસ્તા-પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીં દોઢ કલાકના રોકાણ બાદ અતીકને લઈને UP પોલીસ પ્રયાગરાજ તરફ રવાના થઈ હતી. જોકે, રસ્તામાં આ કાફલાને અકસ્માત નડ્યો હતો.

જાલૌનમાં આ કાફલો પેટ્રોલપંપ પર ઈંધણ ભરાવવા માટે ઊભો રહ્યો હતો. સાબરમતી જેલથી અત્યાર સુધીમાં 10મી વખત પોલીસ કાફલો રોકાયો હતો. જોકે, અધિકારીઓનું કહેવું છે કે હવે તેમનો કાફલો ક્યાંય રોકાશે નહીં, તે સીધો પ્રયાગરાજ જશે.

આ અકસ્માતમાં એક વાછરડું ગાડી સાથે અથડાયું હતું, જેને કારણે ઘટનાસ્થળે જ વાછરડાનું મોત નીપજ્યું હતું. અહીં કાફલો 5 મિનિટ રોકાયા બાદ ફરી પ્રયાગરાજ તરફ આગળ વધ્યો હતો. કાફલામાં અતીકના પરિવારની અને મીડિયાની ગાડીઓ પણ સાથે છે. હાલ સર્જાયેલા માહોલને જોતાં સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: અખિલેશે કાર પલટી ખાઈ જશે એવી ભવિષ્યવાણી કેમ કરી?

ઉલ્લેખનીય છે કે અતીક અહેમદ 2005માં તત્કાલિન બસપા ધારાસભ્ય રાજુ પાલની હત્યા કેસમાં મુખ્ય આરોપી છે. ઉમેશ પાલની હત્યાના સંબંધમાં તાજેતરમાં તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

national news uttar pradesh gujarat