20 August, 2020 03:03 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ગજેંન્દ્ર સિંહ શેખાવત (ફાઈલ તસવીર)
ભારતમાં કોરોના વાયરસ (COVID-19) 28 લાખને પાર કરી ગયો છે. વાયરસની ચપેટમાં અનેક દિગ્ગજો આવી ગયાં છે. હવે વધુ એક કેન્દ્રિય પ્રધાન કોરોનાની ચપેટમાં આવ્યા છે. મોદી સરકારના વધુ એક પ્રધાનનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવતા સરકાર ચિંતામાં છે. હવે કેન્દ્રીય જળ શક્તિ પ્રધાન ગજેંન્દ્ર સિંહ શેખાવત કોરોના સંક્રમિત થયાં છે. આ પહેલા ગૃહ પ્રધાન અમિત શાહ, પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન પણ કોરોનાથી સંક્રમિત થયા હતા.
ગજેંન્દ્ર સિંહ શેખાવતે જણાવ્યું કે, મારી તબિયત થોડીક બગડતા મે પણ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. ડોક્ટર્સની સલાહ મુજબ હું હોસ્પિટલમાં દાખલ થયો છું. મારો અનુરોધ છે કે ગત દિવસોમાં મારા સંપર્કમાં જે પણ લોકો આવ્યા હોય તેઓ પોતોને આઈસોલેટ કરીને ડોક્ટરી તપાસ કરાવી લે. તમામ લોકો સ્વસ્થ રહે અને પોતાનું ધ્યાન રાખે.
તમને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં અનેક નેતાઓ કોરોના વાયરસથી સંક્રમિત થયાં છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, કેન્દ્રીય આયુષ પ્રધાન શ્રીપદ નાયક, કેન્દ્રીય પ્રધાન અર્જુનરામ મેઘવાલ, આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલ પણ કોરોનાનો ભોગ બન્યાં હતાં.