દેશમાં મફ્ત કોરોના વૅક્સિન બાબતે ડૉ. હર્ષવર્ધનની સ્પષ્ટતા, કહ્યું આ...

02 January, 2021 06:38 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

દેશમાં મફ્ત કોરોના વૅક્સિન બાબતે ડૉ. હર્ષવર્ધનની સ્પષ્ટતા, કહ્યું આ...

તસવીર: એએફપી

નવું વર્ષ ઘણા નવા સમાચાર લઈને આવ્યું છે. તેમાના એક મુખ્ય સમાચાર એટલે કોરોના વાયસર વૅક્સિનનું ડ્રાય રન. હવે ટુંક સમયમાં રસીકરણ શરૂ કરવામાં આવશે ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધન (Dr. Harsh Vardhan)એ શનિવારે બપોરે એક મોટું નિવેદન આપ્યું હતું કે, દેશમાં દરેક નાગરિકને મફ્તમાં વૅક્સિન આપવામાં આવશે. જોકે, હવે તે બાબતે તેમને સ્પષ્ટતા કરવાની ફરજ પડી છે.

આ પણ વાંચો: આખા દેશમાં કોરોના વૅક્સિન મફ્તમાં મળશે: સ્વાસ્થ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધન

સ્વાસ્થ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધને પહેલા દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું હતું કે, ન માત્ર દિલ્હી સમગ્ર દેશમાં કોરોના વાયરસની રસી મફતમાં આપવામાં આવશે જે બાદ સોશ્યલ મીડિયા અને મીડિયામાં અહેવાલો આવ્યા અને પછી તેમણે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર સામે આવીને સ્પષ્ટતા કરવી પડી. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે, પ્રથમ ફેઝમાં ત્રણ કરોડ લોકોને મફતમાં આ વૅક્સિન આપવામાં આવશે. જેમાં એક કરોડ જેટલા હેલ્થ વર્કર્સ અને બે કરોડ ફ્રન્ટલાઇન વર્કર્સન સમાવેશ થાય છે. જુલાઇ સુધીમાં જે બીજા 27 કરોડ લાભાર્થીઓને કોરોનાની વૅક્સિન આપવામાં આવશે તેના પર નિર્ણય પાછળથી લેવામાં આવશે.

આ સાથે જ તેમણે અપીલ કરી હતી કે, કોરોના વાયરસની વૅક્સિન પર ફેલાઈ રહેલા અફવાઓ પર ધ્યાન ન આપવું. લોકો માત્ર સરકાર તરફથી આપવામાં આવતી જાણકારી પર જ વિશ્વાસ રાખે.

દેશમાં કોરોના વાયરસનું રસીકરણ શરૂ કરવામાં આવે તે પહેલા આજે દેશભરમાં તેના માટે ડ્રાય રન કરવામાં આવી રહ્યું છે. આ ડ્રાય રનમાં કોરોનાની રસી આપવા માટે તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી  રહી છે અને મોકડ્રીલ યોજાઇ રહી છે. દેશના બધા જ રાજ્યોમાં કુલ 116 જિલ્લાઑમાં એક સાથે આ અભિયાન આજે ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં 259 વૅક્સિનેશન બૂથ ઊભા કરવામાં આવ્યા છે. આ ડ્રાયરનમાં કોરોનાની રસીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી. પરંતુ માત્ર તપાસ કરાઈ રહી છે કે જે યોજના બનાવવામાં આવી છે તે પ્રમાણે કામ થઈ શકે છે કે નહીં.

coronavirus covid19 national news