01 July, 2022 10:15 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ન ભય, ન ચિંતા, મનમાં માત્ર ને માત્ર શિવા : દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં ચંદનવાડી ખાતે ગઈ કાલે અમરનાથની પવિત્ર ગુફા તરફ આગળ વધી રહેલા યાત્રાળુઓને માર્ગદર્શન આપતો સુરક્ષા-કર્મચારી. આતંકવાદીઓના હુમલાના ખતરાને અવગણીને મોટી સંખ્યામાં લોકો પવિત્ર ગુફાનાં દર્શન માટે આવી પહોંચ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી આતંકવાદી હુમલાઓનું પ્રમાણ વધ્યું છે ત્યારે એને ધ્યાનમાં રાખીને અમરનાથ યાત્રા માટે ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. પહેલી વખત અહીં ખૂબ જ મોટી સંખ્યામાં સ્નિફર ડૉગ્ઝ અને ડ્રોન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સાથે જ યાત્રાળુઓને લઈને જતાં વાહનોની ખૂબ જ તપાસ પણ કરવામાં આવી રહી છે.
ઉદયપુર : આતંકવાદી સંગઠનોની સાથે જોડાયેલા કટ્ટરવાદીઓના હાથે ઉદયપુરમાં માર્યા ગયેલા કન્હૈયાલાલના પરિવારની સાથે રાજસ્થાન જ નહીં, પરંતુ દેશભરના લોકોએ સહાનુભૂતિ વ્યક્ત કરી છે. ટેલરની દુકાન ચલાવતા કન્હૈયાલાલ જ તેના પરિવાર માટે કમાણીનો સોર્સ હતો. હવે તેના મૃત્યુથી પરિવારની મુશ્કેલીઓને ઓછી કરવા માટે લોકોએ દિલ ખોલીને દાન આપ્યું છે. બીજેપીના નેતા કપિલ મિશ્રાએ ક્રાઉડ ફન્ડિંગ દ્વારા કન્હૈયાલાલના પરિવાર માટે ૧.૩૭ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. માત્ર ૨૪ કલાકમાં આટલા રૂપિયા એકત્ર કરવામાં આવ્યા છે અને એ કન્હૈયાલાલના પરિવારને આપવામાં આવ્યા છે. કપિલ મિશ્રા દ્વારા ચલાવવામાં આવેલા કૅમ્પેનમાં ૧૨,૦૦૦થી વધારે લોકોએ પોતાની ક્ષમતા મુજબ સહાય કરી છે. વાસ્તવમાં ૩૦ દિવસમાં એક કરોડ રૂપિયા એકત્ર કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. જોકે માત્ર ૨૪ કલાકમાં ૧.૩૭ કરોડ રૂપિયા એકત્ર થઈ ચૂક્યા છે. કપિલ મિશ્રાએ જણાવ્યું હતું કે દેશ અને દુનિયામાંથી પણ લોકોએ મદદ કરી છે.
ઉદયપુર : ટેલર કન્હૈયાલાલની હત્યાથી રોષ વ્યાપી ગયો છે ત્યારે ઉદયપુરમાં સેંકડો લોકો ગઈ કાલે એક વિરોધ કૂચમાં જોડાયા હતા. જોકે પથ્થરમારાના કારણે આ વિરોધ કૂચ ખોરવાઈ ગઈ હતી. જુદાં-જુદાં હિન્દુ સંગઠનોના ૧૦૦૦ પ્રદર્શનકર્તાઓ કેસરિયા ધ્વજની સાથે ન્યાય માટે સૂત્રોચ્ચાર કરતાં આગળ વધી રહ્યાં હતાં. આ વિરોધ કૂચને ભારે સુરક્ષા પણ આપવામાં આવી હતી. જોકે પ્રદર્શનકર્તાઓ આ ક્રૂર હત્યાના સ્થળે પહોંચ્યા ત્યારે તનાવ ચરમસીમાએ પહોંચ્યો હતો. પથ્થરમારાના પગલે સ્થિતિ વણસતાં પોલીસે ઉશ્કેરાયેલા ટોળાને વિખેર્યું હતું. રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોટ કૉન્ગ્રેસના કેટલાક ધારાસભ્યો અને રાજ્યના ટોચના અધિકારીઓ સાથે ગઈ કાલે કન્હૈયાલાલના પરિવારને મળ્યા હતા. તેમણે આ પરિવારને ૫૧ લાખ રૂપિયાનો ચેક વળતર સ્વરૂપે આપ્યો હતો. મરનારના દીકરાએ જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાને તેના પરિવારને પ્રોટેક્શનની ખાતરી આપી છે. તેણે માગણી કરી હતી કે હત્યારાઓને ફાંસી આપવી જોઈએ.
હૈદરાબાદ : સોશ્યલ મીડિયા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને ધમકી આપનારી પોસ્ટ મૂકનારી વ્યક્તિની હૈદરાબાદમાં ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું. અબ્દુલ મજીદ નામની વ્યક્તિએ આ નેતાઓને મારી નાખવાની ધમકી આપતી પોસ્ટ મૂકી હતી. તેણે એવી માગણી કરી હતી કે સસ્પેન્ડ કરાયેલી બીજેપીની પ્રવક્તા નૂપુર શર્મા દ્વારા મોહમ્મદ પયગંબર વિશે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી બદલ આરએસએસ અને બીજેપીના નેતાઓએ માફી માગવી જોઈએ. હૈદરાબાદના મોગલપુરા પોલીસે ભડકાઉ પોસ્ટ મૂકવા બદલ અબ્દુલ મજીદ વિરુદ્ધ કેસ નોંધી બુધવારે તેની ધરપકડ કરી હતી. અબ્દુલ મજીદને સ્થાનિક કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને નોટિસ આપીને છોડી દેવાનો પોલીસને આદેશ આપ્યો હતો.
બીજિંગ : ચીને વધુ એક વખત પાકિસ્તાનને સાથ આપ્યો છે. પાકિસ્તાને ઉઠાવેલા વાંધાનો પડઘો પાડતાં ચીને G20 નેતાઓની આવતા વર્ષની મીટિંગ જમ્મુ-કાશ્મીરમાં યોજવા માટેના ભારતના આયોજનનો વિરોધ કર્યો છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝેઓ લિજિયને ગઈ કાલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘અમને સંબંધિત માહિતી મળી છે. કાશ્મીરના મામલે ચીનનું વલણ સાતત્યપૂર્ણ અને અત્યંત સ્પષ્ટ છે. એ ભારત અને પાકિસ્તાન વચ્ચે વારસાનો મુદ્દો છે. સંયુક્ત રાષ્ટ્રના સંબંધિત ઠરાવો અને દ્વિપક્ષીય કરારોને અનુરૂપ એનો યોગ્ય નિવેડો લાવવો જોઈએ.’ તેમણે વધુ જણાવ્યું હતું કે ‘સંબંધિત પક્ષકારોએ એકપક્ષીય પગલાં લઈને આ સ્થિતિને જટિલ બનાવવાનું ટાળવું જોઈએ. સંવાદ અને ચર્ચાવિચારણા દ્વારા વિવાદોનો ઉકેલ લાવવો જોઈએ અને સાથે મળીને શાંતિ અને સ્થિરતા જાળવવી જોઈએ.’