21 November, 2021 02:21 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઇલ ફોટો
કૉન્ગ્રેસ જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા સાથે સ્ટેજ શૅર ન કરવા વિનંતી કરી હતી. અજય મિશ્રાના પુત્રની લખીમપુર ખૈરી હિંસા મામલે ધરપકડ થયેલી છે. વડા પ્રધાન ડીજીપી કૉન્ફરન્સ માટે ઉત્તર પ્રદેશની મુલાકાતે આવ્યા છે. પ્રિયંકા ગાંધીએ પત્રમાં વડા પ્રધાનને લખ્યું છે કે તમારા ઇરાદાઓ પવિત્ર હોય તો અજય મિશ્રા સાથે સ્ટેજ શૅર ન કરશો અને તેમને પદ પરથી દૂર કરો.
આ તરફ બીજેપીના જ વરુણ ગાંધીએ કૃષિકાયદા પાછા ખેંચવામાં વિલંબને લઈને વડા પ્રધાનને પત્ર લખી ઑનલાઇન પોસ્ટ કર્યો હતો. પત્રમાં વરુણ ગાંધીએ કેટલીક માગણીઓ કરી હતી. તેમણે લખ્યું હતું કે કૃષિકાયદા વહેલા પાછા ખેંચી લેવામાં આવ્યા હોત તો ૭૦૦ ખેડૂતો જીવતા હોત. તેમણે મૃતકો માટે એક કરોડ રૂપિયાના વળતરની માગણી કરી હતી. તેમણે એવી પણ માગણી કરી હતી કે ખેડૂતો સામેના ખોટા કેસ પાછા ખેંચવામાં આવે અને ખેડૂતોને ટેકાના ભાવ માટે ખાતરી આપવામાં આવે. એના વગર આંદોલન પૂરેપૂરું સમેટાશે નહીં.