14 May, 2022 06:11 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બિપ્લબ કુમાર દેબ
ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને સોંપ્યું છે. આ વાતની પુષ્ટિ ખુદ બિપ્લબ દેબે કરી છે. હવે ત્યાં નવા મુખ્યમંત્રીની પસંદગી થશે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને પાર્ટીના મહાસચિવ વિનોદ તાવડે કેન્દ્રીય નિરીક્ષક તરીકે અગરતલા પહોંચ્યા છે. નવા સીએમનું નામ ધારાસભ્ય દળની બેઠકમાં નક્કી કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે બિપ્લબ દેબ છેલ્લા ચાર વર્ષથી BJP અને ઈન્ડિજિનસ પીપલ્સ ફ્રન્ટ ઑફ ત્રિપુરા (IPFT)ની સરકારનું નેતૃત્વ કરી રહ્યા હતા. ત્રિપુરામાં આઠ મહિના પછી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ દરમિયાન ભાજપે ત્રિપુરામાં નેતૃત્વ બદલવાનો નિર્ણય લીધો છે.
ત્રિપુરાના આગામી સીએમના નામ પર હજુ પણ શંકા છે. હજુ પણ એવી ચર્ચા ચાલી રહી છે કે પ્રતિમા ભૌમિક અથવા જિષ્ણુ દેવમાંથી એકને ત્રિપુરાના સીએમ બનાવવામાં આવી શકે છે. પ્રતિમા ભૌમિક સાંસદ અને કેન્દ્રીય મંત્રી છે જ્યારે જિષ્ણુ દેવ ડેપ્યુટી સીએમ છે. એવી ચર્ચા ચાલી રહી છે કે જિષ્ણુ અને બિપ્લબ એકબીજા સાથે મળતા નથી. જો કે આ બંનેમાંથી કોઈ સીએમ હશે કે નવું નામ સામે આવશે તે હજુ નક્કી નથી.