06 February, 2021 01:16 PM IST | New Delhi | Agency
રૉબર્ટ વાડ્રા
કૉન્ગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના જમાઈ રૉબર્ટ વાડ્રાએ કહ્યું હતું કે જ્યારે પણ કેન્દ્ર સરકાર પર એના ખોટા કાર્ય બદલ હુમલો કરવામાં આવે છે ત્યારે લોકોનું એ મુદ્દા પરથી ધ્યાન ભટકાવવા કેન્દ્ર મારો ઉપયોગ કરે છે.
પોતાના દાવાને સાબિત કરવા તેમણે એક પોસ્ટ શૅર કરી હતી જેમાં ખેડૂતોના વિરોધના મુદ્દે ભારતને બદનામ કરવા પ્રિયંકા ગાંધીના પતિ વિદેશી અભિનેતાઓને લાવી રહ્યા છે કે કેમ એ બાબતે તપાસ કરવા એનઆઇએને વિનંતી કરવામાં આવી હતી. નૅશનલ સાઇબર સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડના વાઇસ ચૅરમૅન અમર પ્રસાદ રેડ્ડીના ટ્વીટને શૅર કરતાં તેમણે કહ્યું હતું કે તેમણે મારા પર પાયાવિહોણા આક્ષેપ કરવાની ફરી શરૂઆત કરી છે. હવે શાસક પક્ષ દ્વારા ઘડવામાં આવેલા અયોગ્ય કાયદાઓ સામે વિરોધ કરી રહેલા ખેડૂતોના દમન માટે કરવામાં આવતા આંતરરાષ્ટ્રીય ટ્વીટ માટે પણ મને જવાબદાર ગણવામાં આવી રહ્યો છે.