૧૨ દિવસના લગ્ન પછી તરત છૂટા પડવા માગતા કપલની આ માગણી ગુજરાત હાઇકોર્ટે ફગાવી

24 January, 2022 02:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છૂટાછેડાના ફરમાન માટેનો છ મહિનાનો સમયગાળો જાળવી રાખવાનો આદેશ આપ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

માત્ર ૧૨ દિવસના લગ્ન પછી છૂટા પડવા માગતા કપલને મામલે ગુજરાત હાઈકોર્ટે એક દંપતીના છૂટાછેડાના કેસમાં ફેમિલી કોર્ટના ચુકાદામાં દખલગીરી કરવાનો ઈનકાર કરી દીધો છે. છૂટાછેડાના ફરમાન માટેનો છ મહિનાનો સમયગાળો જાળવી રાખવાનો આદેશ આપ્યો છે.

આ કેસમાં જે કપલ છે તેમનાં લગ્ન 8મી ડિસેમ્બર, 2020ના થયા અને 20મી ડિસેમ્બર, 2020ના રોજ તેઓ અલગ થઈ ગયા હતા. પતિ-પત્નીએ એકબીજા વિરુદ્ધ ફોજદારી આરોપો પણ મૂક્યા હતા. ત્યારપછી 18મી ઓક્ટોબર 2021ના રોજ દંપતીએ એકબીજાની સહમતિ સાથે છૂટાછેડા લેવાનો કરાર કર્યો અને આરોપો રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

ત્યારપછી આ દંપતી MoU લઈને ફેમિલી કોર્ટ પાસે ગયું અને વિનંતી કરી કે છૂટાછેડા માટેનો જે છ મહિનાનો સમય હોય છે તેને રદ્દ કરવામાં આવે અને તાત્કાલિક છૂટાછેડાનું ફરમાન કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે કોર્ટ છૂટાછેડા પહેલા આ સમય એટલા માટે આપતી હોય છે કે આ સમયગાળા દરમિયાન પતિ-પત્ની વચ્ચે સુલેહ થઇ શકે તેમ હોય તો થાય. આ દંપતીએ માત્ર 12 જ દિવસમાં છૂટાછેડાનો નિર્ણય લીધો છે તો આ કેસને સમાધાન માટે મધ્યસ્થીને સોંપવામાં આવ્યો. જો કે 31મી ડિસેમ્બર 2021ના રોજ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો કે, મધ્યસ્થીના પ્રયાસો નિષ્ફળ સાબિત થયા છે.

4 જાન્યુઆરીના રોજ ફેમિલી કોર્ટે કૂલિંગ ઓફ પીરિયડ માફ કરવાની અરજીને ફગાવી હતી. આ અરજી ફગાવતાં ફેમિલી કોર્ટે સુપ્રીમ કોર્ટના એક ઓર્ડરને ટાંક્યો હતો. ફેમિલી કોર્ટે જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટના ફરમાન અનુસાર કૂલિંગ ઓફ પીરિયડને માફ કરવા માટે અનેક પરિબળો ચકાસવા જરુરી છે, જેમ કે લગ્ન કેટલા સમય સુધી રહ્યા વગેરે. આ સિવાય સુપ્રીમ કોર્ટે સેપરેશનનો સમયગાળો અને સમાધાનની શક્યતાઓને પણ ધ્યાનમાં લેવાની વાત કહી છે.

ફેમિલી કોર્ટના આદેશથી અસંતુષ્ટ દંપતીએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા અને દલીલ કરી કે સંવિધાનના આર્ટિકલ 227 પર અમલ કરવામાં આવે. 19મી જાન્યુઆરીના રોજ જસ્ટિસ એ.સી.જોષીએ કેસની સુનાવણી હાથ ધરી અને નીચલી અદાલતના ચુકાદાને જાળવી રાખ્યો. કોર્ટે કહ્યું કે, આ સત્તાનો અવારનવાર અને અયોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તેની ગંભીરતા અને તાકાત ગુમાવી દેશે.

national news