10 April, 2020 02:28 PM IST | Mumbai Desk
પ્રતીકાત્મક તસવીર
કર્ણાટકના બેલ્લારીમાં એક દુખદ ઘટના બની છે. લૉકડાઉન બાદ એક મજૂર મહિલા બૅન્ગલોરથી ચાલીને રાયચુર જવા નીકળી હતી. ખુલ્લા પગે અને ભૂખી-તરસી મહિલા લગભગ ૩૦૦ કિલોમીટર સુધી ચાલી હતી અને અંતે તેનું મોત થયું હતું. આ ઘટનાએ લોકોને હચમચાવી મૂક્યા છે.
મુખ્ય પ્રધાન બી. એસ. યેદિયુરપ્પાએ ૨૯ વર્ષની મહિલા ગંગમ્માના મોત પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું, ગંગમ્માનું મોત દુર્ભાગ્યપૂર્ણ અને પીડાદાયક છે. સાથે જ સીએમે મૃતકના પરિવારજનોને વળતર આપવાની અને આ મુદ્દે તપાસ કરવાની માગણી કરી છે.
લૉકડાઉન બાદ કામ બંધ થવાથી બૅન્ગલોર છોડવા મજબૂર બનેલા મજૂરોના સમૂહમાં ગંગમ્મા પણ હતી. સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકારે વારંવાર રાજ્ય સરકારને આદેશ કર્યો કે તેઓ પ્રવાસી શ્રમિકોને ભોજન અને આશ્રય આપે અને સાથે જ સુનિશ્ચિત કરે કે શ્રમિકો જ્યાં છે ત્યાં જ રહે.