26 January, 2020 02:46 PM IST | Mumbai Desk
આખું રાજકોટ - પ્રજા અને અબાલવૃદ્ધ સૌકોઈ પ્રજાસત્તાક પર્વના રંગે રંગાયું છે. પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટમાં હોવાથી જબરા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આજે રેસકોર્સ મેદાન ખાતે સવારે ૮ વાગ્યે અદ્ભુત સંગીત સૂરાવલીઓ-રાષ્ટ્રગાન સાથે ભારતનો ત્રિરંગો ૭૧મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી સંદર્ભે આન-બાન-શાનથી લહેરાશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે શાનદાર ધ્વજવંદન થશે અને તેઓ તથા મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી અને અન્યો પરેડની સલામી ઝીલશે. આજે રેસકોર્સ મેદાન પર સવારે ૮થી ૧૧.૧પ કલાક એટલે કે સવાત્રણ કલાકનો ધમાકેદાર કાર્યક્રમ યોજાયો છે. ત્રણ દિવસથી રીહર્સલ ચાલતું હતું. અંદાજે ૩૦,૦૦૦થી વધુ લોકો ઊમટી પડશે. આજે ધ્વજવંદન બાદ ૪૦ મિનિટ સુધી એક ડઝન પ્લાટુન દ્વારા પરેડ માર્ચ પાસ્ટ થશે જેમાં પોલીસ-એનસીએલ કમાન્ડો-હોમગાર્ડ્સ-અશ્વસવારોનો સમાવેશ થાય છે.