કાળા નાણાં ધરાવતા ૬૨૮ જણમાં પટેલ અને મહેતા વધુ

30 October, 2014 03:13 AM IST  | 

કાળા નાણાં ધરાવતા ૬૨૮ જણમાં પટેલ અને મહેતા વધુ




કેન્દ્ર સરકારે જિનીવાસ્થિત HSBC બૅન્કના ૬૨૮ ભારતીય ખાતેદારોનાં નામ બ્લૅક મની કેસમાં સુપ્રીમ કોર્ટને ગઈ કાલે બંધ કવરમાં આપ્યાં હતાં. સરકારે આપેલી નામોની યાદીની ચકાસણી કરીને કાયદા અનુસાર પગલાં લેવાનો આદેશ સુપ્રીમ કોર્ટે‍ SITને આપ્યો હતો.

વડા ન્યાયમૂર્તિ એચ. એલ. દત્તુના વડપણ હેઠળની એક ખંડપીઠે સીલ કરેલું કવર ખોલ્યું નહોતું. ખંડપીઠે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે નીમેલી SITના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ જ આ કવર ખોલશે. આ વિશેની તપાસનો સ્ટેટસ રિપોર્ટ નવેમ્બરના અંત સુધીમાં સુપરત કરવા અદાલતે SITને જણાવ્યું હતું.

આ લિસ્ટમાં કુલ પૈકીનાં ૫૦ ટકાથી વધુ નામો ભારતીયોનાં છે અને બાકીનાં બિનનિવાસી ભારતીયો છે, જેમને ભારતીય આવકવેરા કાયદો લાગુ નથી પડતો. આ યાદીમાં સૌથી વધુ સરનેમ મહેતા અને પટેલ છે.

આ અગાઉ ખંડપીઠ સમક્ષ દસ્તાવેજો રજૂ કરતાં ઍટર્ની જનરલ મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે અહીં જે વિગત આપવામાં આવી છે એ ફ્રેન્ચ સરકારે ભારત સરકારને ૨૦૧૧માં આપી હતી. જિનીવાસ્થિત HSBC બૅન્કમાંથી ચોરાયેલો ડેટા ફ્રાન્સ સુધી પહોંચ્યો હતો અને ત્યાંથી સરકારને માહિતી મળી હતી.

વડા ન્યાયમૂર્તિ ઉપરાંત ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈ અને ન્યાયમૂર્તિ મદન બી. લોકુરની બનેલી ખંડપીઠે વિદેશો સાથે થયેલી વિવિધ સંધિઓ બાબતે મુશ્કેલીઓની વાત SIT સમક્ષ રજૂ કરવાની છૂટ કેન્દ્ર સરકારને આપી હતી. ખંડપીઠે જણાવ્યું હતું કે SITના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિઓ છે. તેઓ સામાન્ય માણસ નથી. બ્લૅક મની વિશેની તપાસમાં સર્જાતા વિવિધ મુદ્દાઓ બાબતે નિર્ણય કરવા તેઓ સક્ષમ છે.

ખંડપીઠે કહ્યું હતું કે ‘અમે આ આખી યાદી SITને મોકલીશું અને એ કાયદા અનુસાર તપાસ કરશે. આગળની તપાસ કઈ રીતે કરવી એનો નિર્ણય SITએ કરવાનો છે.’

મુંબઈના ૯૦ ખાતેદારો સામે હવે થશે આવકવેરાની તપાસ 

કેન્દ્ર સરકારે વિદેશી બૅન્કોમાં ખાતું ધરાવતા ૬૨૭ લોકોનાં નામની યાદી સુપ્રીમ કોર્ટને ગઈ કાલે સુપરત કરી હતી એ પૈકીના ૨૩૫ ખાતેદારો મુંબઈના છે. એમાંથી ૯૦ લોકોનાં ખાતાં સ્વિસ બૅન્કોમાં હોવાના સમાચારને સમર્થન મળી ગયું છે. એથી આ લોકોએ સ્વિસ બૅન્કોમાં ગેરકાયદે રૂપિયા જમા કરાવ્યા છે કે કેમ એ શોધવા માટે આવકવેરા ખાતું ટૂંક સમયમાં તેમની સામે તપાસ હાથ ધરશે.

સરકારે કોર્ટને સોંપેલા સીલબંધ કવરમાં શું છે?

કવરમાંના દસ્તાવેજોની વિગત આપતાં ઍટર્ની જનરલ મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે સીલબંધ કવરમાં ત્રણ દસ્તાવેજો છે. એમાં ભારત સરકારે ફ્રેન્ચ સરકાર સાથે કરેલા પત્રવ્યવહાર, નામોની યાદી અને એક સ્ટેટસ રિપોર્ટનો સમાવેશ છે. અહીં જેમનાં નામો છે એ પૈકીના કેટલાક લોકોએ સ્વીકાર્યું છે કે તેમનાં અકાઉન્ટ્સ વિદેશી બૅન્કોમાં છે અને તેમણે કર પણ ચૂકવ્યો છે.

આ યાદીમાં ખાતેદારોનાં નામ, સરનામું, અકાઉન્ટ-નંબર અને અકાઉન્ટમાં જમા નાણાંની ૨૦૦૬ના વર્ષ સુધીની એન્ટ્રીની માહિતી છે. નામ-સરનામાં મળ્યા પછી ૧૩૬ ખાતેદારોએ તેમનાં અકાઉન્ટ વિદેશી બૅન્કમાં હોવાની વાત સ્વીકારી છે. તે પૈકીના કેટલાકે એમ પણ જણાવ્યું હતું કે તેમને આ બાબતે જાણકારી નહોતી અને આ માટે કાયદેસર જે ટૅક્સ ચૂકવવાનો હોય એ ભરવા તેઓ તૈયાર છે.

૪૧૮માંથી ૧૨ અકાઉન્ટનાં ઍડ્રેસ કલકત્તાનાં છે, પણ એમાંથી છ જણે જ તેમનાં અકાઉન્ટ હોવાનું કબૂલ્યું છે. સૌથી વધુ જમા નાણાં ધરાવતા અકાઉન્ટમાં ૧.૮ કરોડ ડૉલર છે અને એ અકાઉન્ટ દેશના મોખરાના બે ઉદ્યોગપતિના નામે છે.

આ બધાં ખાતાંઓની ઇન્કમ-ટૅક્સ બાબતે તપાસ આવતા વર્ષની ૩૧ માર્ચ સુધીમાં પૂર્ણ કરી લેવાની છે એમ રસ્તોગીએ જણાવ્યું હતું.