વાહ રે સરકાર: જનતાના પોણાબે લાખ કરોડ રૂપિયા પાછા આપવા મહેનત શરૂ કરી

06 October, 2025 07:21 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

આ રકમ સરકારી મિલકત નથી પણ વ્યક્તિઓ અને પરિવારોની છે. આ તેમના પૈસા છે.’

નિર્મલા સીતારમણ

બૅન્કો અને વીમા-કંપનીઓ સહિતની આર્થિક સંસ્થાઓમાં જમા પડેલી આ રકમને હકદાર સુધી પહોંચાડવા સરકારે ઝુંબેશ શરૂ કરી

બૅન્કો, રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI), વીમા-કંપનીઓ, મ્યુચ્યુઅલ ફન્ડ્સ, પ્રોવિડન્ટ ફન્ડ અકાઉન્ટ્સ અને અન્ય સંસ્થાઓ પાસે પડેલા આશરે ૧.૮૪ લાખ કરોડ રૂપિયા એમના મૂળ માલિકો સુધી પાછા પહોંચાડવાની રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે.

૩ મહિના સુધી ચાલનારી આ ઝુંબેશનો કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે તેમણે કહ્યું હતું કે ‘આ રકમ સરકારી મિલકત નથી પણ વ્યક્તિઓ અને પરિવારોની છે. આ તેમના પૈસા છે.’

ઘણી વાર ખોવાયેલા દસ્તાવેજો, ભુલાઈ ગયેલી નીતિઓ અથવા જાગૃતિના અભાવને કારણે આવી રકમ ભેગી થાય છે એવું કહીને નાણાપ્રધાને જણાવ્યું હતું કે આ વૃક્ષ પર પાકેલા ફળ જેવું છે, જે પહોંચમાં છે પણ જેની પાસે છે એના હાથમાં આવતું નથી. 

આ ઝુંબેશ ત્રણ લેવલ પર આધારિત છે : જાગૃતિ, ઍક્સેસ અને કાર્યવાહી. જાગૃતિ એટલે કે લોકોને દાવો ન કરાયેલાં આ નાણાં વિશે માહિતી આપવી, ઍક્સેસ એટલે RBIના UDGAM પોર્ટલ દ્વારા તેમને દાવો કરવા માટેની પહોંચ આપવી અને પછી એના પર કાર્યવાહી કરવામાં મદદ કરવી.

national news india nirmala sitharaman indian government reserve bank of india