06 March, 2021 01:42 PM IST | New Delhi | Agencies
પ્રતીકાત્મક તસવીર
તાજેતરમાં કેટલાંક સ્ટેશનોમાં પ્લૅટફૉર્મ ટિકિટમાં કરાયેલો વધારો કામચલાઉ છે અને તે પાછળનો હેતુ કોરોના વાઇરસ મહામારી દરમ્યાન ભીડ એકઠી થતી અટકાવવાનો છે, એમ રેલવેએ શુક્રવારે સ્પષ્ટતા કરી હતી.
તાજેતરમાં કેટલાંક સ્ટેશનોમાં પ્લૅટફૉર્મ ટિકિટમાં ૫૦ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. રેલવેએ જણાવ્યું હતું કે ટૂંકી મુસાફરીનાં ભાડામાં કરાયેલા વધારા પાછળનો ઉદ્દેશ પણ મહામારીમાં બિનજરૂરી મુસાફરી અટકાવવાનો છે.
કેટલાંક સ્ટેશનો પર પ્લૅટફૉર્મ ટિકિટમાં કરાયેલો વધારો કોરોના પ્રસરતો અટકાવવા માટેનું ‘કામચલાઉ પગલું’ છે. મુસાફરોની ભારે ભીડ રહેતી હોય તેવાં મર્યાદિત સ્ટેશનો પર આ વધારો લાગુ કરાયો છે. મુંબઈ ડિવિઝનનાં કુલ ૭૮ સ્ટેશનોમાંથી માત્ર સાત સ્ટેશનો પર જ પ્લૅટફૉર્મ ટિકિટમાં વધારો કરવામાં આવ્યો છે, એમ રેલવેએ જણાવ્યું હતું.