23 April, 2026 07:21 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
યુનાઇટેડ નેશન્સ ખાતે એશિયા પૅસિફિકનો ઇકૉનૉમી રિપોર્ટ જાહેર કરતા ESCAPના હમઝા મલિક.
ઇઝરાયલ-અમેરિકા-ઈરાન અને રશિયા-યુક્રેન જેવાં વિશ્વભરમાં ચાલી રહેલાં અનેક યુદ્ધો અને પ્રતિકૂળ વૈશ્વિક પરિસ્થિતિઓ છતાં ભારતનું અર્થતંત્ર ૨૦૨૬ અને ૨૦૨૭માં સૌથી ઝડપી ગતિએ વૃદ્ધિ પામશે. નિષ્ણાતોના અંદાજના આધારે યુનાઇટેડ નેશન્સના એક અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારત વિશ્વનું વિકાસ એન્જિન બન્યું છે. ભારતનું અર્થતંત્ર આ વર્ષે ૬.૪ ટકા અને ૨૦૨૭માં ૬.૬ ટકાના દરે વૃદ્ધિ પામશે. આ અંદાજે વિશ્વના ઘણા દેશોને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ અહેવાલમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે.
યુનાઇટેડ નેશન્સ ઇકૉનૉમિક ઍન્ડ સોશ્યલ કમિશન ફૉર એશિયા ઍન્ડ ધ પૅસિફિક (ESCAP)એ જાહેર કરેલા એના ‘ESCAP-2026’ અહેવાલમાં જણાવ્યું હતું કે અમેરિકાની ટૅરિફથી પણ ભારતને ખાસ નુકસાન થયું નથી. જોકે ૨૦૨૫ના બીજા ભાગમાં ભારતની આર્થિક પ્રવૃત્તિ થોડી ધીમી પડી ગઈ હતી, કારણ કે ટ્રમ્પે ઑગસ્ટ ૨૦૨૫માં ભારત પર ૫૦ ટકા ટૅરિફ લાદી હતી એના પરિણામે અમેરિકામાં નિકાસમાં પચીસ ટકાનો ઘટાડો થયો હતો છતાં સર્વિસ સેક્ટર ભારતના વિકાસનો મુખ્ય આધાર રહ્યો હતો.
આ રિપોર્ટના આધારે એવો અંદાજ માંડવામાં આવ્યો છે કે પડકારજનક વૈશ્વિક પરિસ્થિતિઓ છતાં ભારતમાં ફુગાવો આ વર્ષે ૪.૪ ટકા અને ૨૦૨૭માં ૪.૩ ટકા રહેવાની ધારણા છે.