01 June, 2020 03:06 PM IST | Mumbai Desk | Agencies
અરવિંદ કેજરીવાલ
કોરોનાના સંકટ વચ્ચે દિલ્હીની કેજરીવાલ સરકારના ખિસ્સા ખાલી થઈ ગયા છે. દિલ્હી સરકારે કેન્દ્ર પાસે ૫૦૦૦ કરોડ રૂપિયાની મદદ માગીને કહ્યું છે કે અમારી પાસે સ્ટાફની સૅલરી કરવાના પણ પૈસા નથી એટલે આ પૈસા વહેલી તકે આપવામાં આવે.
દિલ્હી સરકારના પ્રધાન મનીષ સીસોદિયાએ કહ્યું હતું કે કોરોનાના કારણે લાગુ થયેલા લૉકડાઉન વચ્ચે દિલ્હી સરકારના ટૅક્સ કલેક્શન પર મોટી અસર પડી છે અને કેન્દ્ર દ્વારા બીજા રાજ્યોની જેમ દિલ્હીને કોઈ સહાય કરવામાં આવી નથી.
તેમણે કહ્યું હતું કે દિલ્હી સરકારને સૅલરી તેમ જ બીજા ખર્ચા માટે ૩૫૦૦ કરોડની જરૂર છે. અત્યાર સુધીમાં દિલ્હીને ૧૭૩૫ કરોડ રૂપિયા મળ્યા છે. જ્યારે ૭૦,૦૦૦ કરોડ રૂપિયાની આવકનો અંદાજ હતો. કેન્દ્ર સરકાર દિલ્હીને તાત્કાલિક ૫૦૦૦ કરોડની સહાય કરે. આ માટે નાણાપ્રધાનને પત્ર પણ લખ્યો છે.