27 August, 2026 07:27 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
લાસલગાંવ સ્ટેશન પરથી અટકાવવામાં આવેલી કાંદાની ટ્રેન સામે પાટા પર બેસીને વિરોધ કરતા ખેડૂતો.
કાંદાના ભાવ ૭૦ રૂપિયે કિલોએ પહોંચતાં બફર સ્ટૉકમાંથી રાહત આપવા લાસલગાંવથી દિલ્હી માટે કેન્દ્ર સરકારે ખાસ કાંદા એક્સપ્રેસ શરૂ કરી છે. બુધવારે લાસલગાંવ રેલવે-સ્ટેશન પર આ ૮૪૦ ટન કાંદા ભરેલી ૨૧ વૅગનની ટ્રેનને ખેડૂતોએ રોકી દીધી હતી.
પ્રહાર સંગઠનના કાર્યકર ગણેશ નિંબાળકરે આરોપ લગાવ્યો હતો કે ખેડૂતો પાસેથી સારા કાંદા ખરીદીને સડેલા કાંદા દિલ્હી મોકલવામાં આવી રહ્યા છે જે બે દિવસમાં વધુ બગડી જશે અને એનાથી બજારભાવ પર અસર પડીને ખેડૂતોને નુકસાન થશે. તેમણે ટ્રેન સામે બેસીને વિરોધ કરતાં ટ્રેન માલયાર્ડમાં અટકી ગઈ હતી. બાદમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને પોલીસે દરમ્યાનગીરી કરી વિરોધીઓને હટાવ્યા એ પછી બપોરે ૩ વાગ્યે ટ્રેન દિલ્હી તરફ રવાના થઈ હતી.
સરકારનું કહેવું છે કે આ કાંદા પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફન્ડ હેઠળ ખરીદવામાં આવ્યા છે અને દિલ્હીના આઝાદપુરમાં ૩૫ રૂપિયે કિલોના રાહતદરે વેચાશે. આ ઉપરાંત ચેન્નઈ, મદુરાઈ, અર્નાકુલમ અને ગુવાહાટી પણ કાંદા મોકલાશે. જોકે નાશિકના ખેડૂતોનું કહેવું છે કે જ્યારે તેમને ૪૦૦૦ રૂપિયે ક્વિન્ટલનો ભાવ મળવા લાગ્યો છે ત્યારે બફર સ્ટૉક છોડવાથી ભાવ તૂટશે એટલે એને બદલે સરકારે નિકાસ કરવી જોઈએ. પ્રહાર સંગઠને ચેતવણી આપી છે કે જો ખેડૂતોના ભાવને અસર કરવાના પ્રયાસો થશે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.