21 August, 2020 08:28 PM IST | Telangana | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: એએનઆઈ
તેલંગણના શ્રીશૈલમ બાંધના કિનારે આવેલા પાવર સ્ટેશન પર શુક્રવારે ભીષણ આગ લાગી હતી. સ્ટેશનમાંથી અત્યાર સુધીમાં 10 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. આ આગના કારણે અત્યાર સુધીમાં નવ લોકોના મોત થયા છે. જ્યારે હજી પણ નવ લોકો અંદર ફસાયેલા હોવાની માહિતી છે. રાહત કાર્ય હજી પણ ચાલુ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપ રાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુએ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. રાજ્ય સરકારે આ દુર્ઘટના પછી સીઆઈડી તપાસના આદેશ આપ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે કે, આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. મારી સંવેદના તે બધા પરિવારો સાથે છે. આશા છે કે દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત લોકો જલ્દી સ્વસ્થ થશે.
મળતી માહિતી પ્રમાણે, તેલંગણના લેફ્ટ બેન્ક પાવર સ્ટેશનમાં શુક્રવારે અચાનક આગ લાગી હતી. આગ એટલી ઝડપથી ફેલાઇ કે જલ્દી આખી બિલ્ડિંગમાં ધુમાડો-ધુમાડો થઈ ગયો હતો. આગ લાગવાની જાણ થતા અંદર રહેલા કર્મચારીઓએ બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો હતો. ઘટનાસ્થળ પર પહોંચીને ફાયરબ્રિગેડે 10 કર્મચારીઓને બહાર કાઢ્યા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે, સારવાર માટે છ કર્મચારીઓને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગ લાગ્યા બાદ પ્લાન્ટમાં ખૂબ ધુમાડો ભરાઈ ગયો હતો. તેના કારણે બચાવ અભિયાનમાં મુશ્કેલી આવી રહી છે. એમ કહેવાઈ રહ્યું છે કે ઘટનાના સમયે 19 લોકો હતા. તેમાંથી ને બચાવી લેવાયા અને નવ કર્મચારીના મૃતદેહ મળ્યા છે. તેમા ચાર પ્લાન્ટના અધિકારી છે.
શ્રીસેલમ ડેમ કૃષ્ણા નદી પર છે. જે આંધ્રપ્રદેશ અને તેલંગણની સીમા પર સ્થિત છે.