20 November, 2019 10:52 AM IST | New Delhi
સબરીમાલા મંદિરમાં પુડુચેરીથી આવેલી ૧૨ વર્ષની બાળકીની ચકાચણી કરતી પોલીસ. તસવીર : પી.ટી.આઇ.
ભગવાન ઐયપ્પાના વિશ્વ વિખ્યાત મંદિર સબરીમાલામાં પુડુચેરીથી પિતા સાથે દર્શન કરવા આવેલી ૧૨ વર્ષની કિશોરીને અટકાવવામાં આવી હતી. ગઈ કાલે સવારે આ કિશોરીની પમ્બા કૅમ્પ પર જ અટકાયત કરવામાં આવી હતી. ભગવાન ઐયપ્પાના મંદિરમાં દર્શન માટેની ક્યૂ (લાઈન)ના બુકિંગમાં તેની ઉંમર ૧૦ વર્ષ બતાવવામાં આવી હતી. જોકે મહિલા પોલીસે કિશોરીનું આધાર કાર્ડ તપાસવા માગ્યું હતું અને તેના આધારે તેની ઉંમર ૧૨ વર્ષ હોવાનું માલૂમ પડ્યું હતું જેને પગલે તેને મંદિરમાં દર્શન કરવા માટે મનાઈ ફરમાવવામાં આવી હતી. જોકે કિશોરીના પિતા તેમ જ તેની સાથેના અન્ય શ્રદ્ધાળુઓએ ભગવાન ઐયપ્પાનાં દર્શન કર્યાં હતાં.
સદીઓથી ચાલતી આવતી પરંપરા મુજબ રજસ્વલા ઉંમર ધરાવતી મહિલાઓને મંદિર પરિસરમાં પ્રવેશ આપવામાં આવતો નથી. આ મુદ્દે ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૮ના સુપ્રીમ કોર્ટે તમામ વયજૂથની મહિલાઓને પ્રવેશ આપવાનો ચુકાદો આપ્યો હતો જેના વિરુદ્ધ થયેલી પિટિશનને લાર્જર બેન્ચ સમક્ષ રીફર કરવામાં આવી છે. જોકે રાજ્ય સરકાર કોઈ અનિચ્છનિય બનાવ ન બને એ માટે સતર્કતા રાખી રહી છે.